વડોદરા શહેરમાં અવાર નવાર શહેરમાં નશીલા પદાર્થના જથ્થાનું વેચાણ કરતા ઈસમોને શહેર પોલીસ દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા ગ્રામ્ય એસ.પી અને ગ્રામ્ય એસ.ઓ.જીને બાતમીના આધારે શહેરના છેવાડે આવેલ સેવાસી તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી 1.50 લાખથી બધુંના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.
આ સુચનાને આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા જીલ્લામાં આ પ્રકારની ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તી ન ચાલે તે માટે પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી.એ અલગ-અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત વડોદરા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી મળેલ કે, સેવાસી બસસ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં નશાકારક માદક પદાર્થનું ખરીદ વેચાણ ચાલે છે.
આ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમ ત્રાટકી હતી અને આ સ્થળ પરથી રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ ભાઇલાલભાઇ પટેલ (રહે. સેવાસી બસ સ્ટેન્ડ પાસે, તા-જી.વડોદરા) અને શંકરભાઇ રામસીંગભાઇ રબારી (રહે. સેવાસી, તા-જી.વડોદરા) ના રહેણાંક મકાનમાં બન્ને ઇસમો નશાકારક માદક પદાર્થ અફીણના જથ્થાનુ ખરીદ-વેચાણ કરતા હતા. જે આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરી પકડી પાડી ઝડતી તપાસ કરતા તેની પાસેથી અફીણ તથા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જે બન્ને આરોપીઓ વિરુધ્ધ વડોદરા તાલુકા પો.સ્ટે.માં NDPS Act હેઠળ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુન્હામાં માંગીલાલ (રહે. રાજસ્થાન રાજ્ય) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં બે ઈસમો સાથે રૂપિયા 1,50,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં નશાકારક માદક પદાર્થ અફીણ જેનુ ચોખ્ખુ વજન 1.350 કિલોગ્રામ છે. સાથે નશાકારક માદક પદાર્થ પોશોડોડા જેનુ ચોખ્ખુ વજન 1.410 કિલોગ્રામ છે.સાથે મોબાઈલ, રોકડ અને વજન કાંટા મળી કુલ રૂપિયા 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રામ્ય એસ.ઓ.જી. દ્વારા સામાન્ય જનતા નશાથી દૂર રહે તેમજ યુવાધન બરબાદ થતુ અટકે તે માટે અસરકારક પેટ્રોલીંગની કામગીરી કરી નશાકારક માદક પદાર્થ અફીણ તથા પોશડોડાનો જથ્થો ઝડપી પાડી બન્ને ઇસમો વિરૂધ્ધમાં વડોદરા તાલુકા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબનો ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ આગળની વધુ તપાસ પો.સ.ઇ. વરણામાં પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.
વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.
આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.
વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.
22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.
ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં
વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.
પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી
આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી
13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.