Connect with us

Savli

RSS Vs સાવલી પોલીસ: સંઘ અને હિન્દુ સંગઠનના કાર્યકરો કેમ પોલીસ મથકની બહાર રામધુન કરવા બેઠા?, જાણો..

Published

on

વડોદરા જીલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા એક યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો અને ધર્મ રક્ષા સમિતિના આદેવાનો પોલીસ મથકની બહાર રાત્રીના સમયે ધરણા પર બેસી ગયા હતા. પોલીસની બર્બરતા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે RSS સહીત હિંદુ સંગઠનના કાર્યકરોએ રામધુન પણ બોલાવી હતી.

સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ અનિરુદ્ધસિંહ કામલીયા દ્વારા નિર્દોષ નાગરીકોને માર મારવામાં આવતો હોવાની ફરિયાદ વારંવાર ઉઠવા પામી છે. એક વર્ષ પહેલા સાવલી પોલીસ મથકમાં વિસનગર ગામના સરપંચને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. જોકે તે સમયે પણ પોલીસ અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જયારે એક દિવસ પહેલા રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન જ હિન્દુ રક્ષા સમિતિના કાર્યકરને સાવલી પોલીસ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

આર.એસ.એસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જયપાલસિંહ મહીડાએ આક્ષેપ કર્યા હતા કે, રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન આગેવાની કરનાર ધર્મ રક્ષા સમિતિના આગેવાન પાર્થભાઈને પોલીસે બોલાવીને માર મારવામાં આવ્યો હતો. પાર્થ બેહોશ થયો ત્યાં સુધી સાવલી પી.એસ.આઈએ તેણે લાફા ઝીંકીને માર માર્યો હતો. અગાઉ પણ વિસનગરના સરપંચને ક્રુરતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો. પોલીસ રક્ષક છે કે ભક્ષક તે સમજાતું નથી. એક યુવકને બેભાન થાય ત્યાં સુધી તેણે મારવામાં આવ્યો છે. હાલ યુવક સયાજી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે.

ભોગ બનનાર યુવક પાર્થ સુથારના પિતા અનીલ સુથારે જણાવ્યું હતું કે, પોલીસે ખોટી રીતે મારા દીકરા સામે કાર્યવાહી કરી છે. પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો હોય તો તેની ધરપકડ કરવી જોઈએ, માર મારવાની શું જરૂર હતી? રામનવમીના ઉત્સવમાં RSSના કાર્યકર તરીકે મારો પુત્ર કામ કરે છે તેને લીધે પોલીસ તેના પર કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરે છે. પાર્થ સુથારનાં પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાદરવા પોલીસ મથકના પી.એસ.આઈ લીમ્બોલા માટે તેઓએ ડુંગરીપુરામાં અન્ય કોઈની જમીન પર ફાર્મ હાઉસ બનાવી આપ્યું હતુ. જેની બીલ 28.50 લાખ થયું છે. જેની સામે માત્ર 6.20 લાખ જ ચુકવણી કરી છે. બાકીના પૈસા માટે હું છ મહિનાથી તેઓ સાથે ઉઘરાણી કરું છું જેથી મને અને મારા પરિવાર પર દબાણ લાવવા માટે મારા પુત્રને ખોટા કેસમાં ફસાવી દેવાનું કાવતરું પોલીસે ઘડ્યું છે.

આ અંગે સાવલી પી.એસઆઈ અનિરુદ્ધસિંહ કામલીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, યુવક અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે. યુવક પાર્થ સુથાર દ્વારા પોલીસને  ગાળો દેવામાં આવી હતી. અને હેડ કોન્સ્ટેબલને જાતિ વિષયક ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે તેઓ પર કાર્યવાહી કરી છે. પોલીસ પર દબાણ લાવવા માટે આ બધી બાબતો ઉપજાવી કાઢેલી છે. કોઈ પી.એસ.આઈના ફાર્મ હાઉસ બનાવવાના ખર્ચ બાબતે પાર્થના પિતાએ કરેલા આક્ષેપ બાબતે પૂછતા પી.એસ.આઈ કામલીયાએ જણાવ્યું હતું કે, પી.એસ.આઈ લીમ્બોલાનું કોઈ ફાર્મ હાઉસ જ નથી. ગઈકાલે શોભાયાત્રા નીકળી અને એમાં સમગ્ર ઘટના બની જે અંગે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીના પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.

Savli

ભણતર-નોકરી અંગે માતાએ ઠપકો આપતા પુત્રએ દવા ગટગટાવી

Published

on

વડોદરા પાસે સીસવા ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પુત્રએ અંતિમ પગલું ભરી લેતા માતા-પિતા શોકમય બન્યા છે. તો બીજી તરફ આ મામલે વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કનુભાઇ અંબાલાલ સોલંકી સીસવાગામે આવેલા મહાદેવ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમની પત્નીએ પુત્ર ગૌતમ (ઉં.19) ને ઠપકો આપ્યો હતો. ગૌતમ ગોરવા આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી કોલેજ જતો ન્હતો. અને ગામમાં આંટાફેરા મારતો હતો. જેથી તેની માતાએ તેના સારા ભવિષ્યને ધ્યાને લઇને કહ્યુંકે, તું ભણવા પણ નથી જતો, અને નોકરી પણ નથી શોધતો. જો તારે ભણવા ના જવું હોય તો અમને ખેતીકામમાં મદદ કરવા લાગ.

આ વાતનું ગૌતમને મનોમન લાગી આવ્યું હતું. બાદમાં તેણે ખેતરે જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટના અંગે જાણ થતા જ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંઘ કરવામાં આવી છે. અને મામાલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કંચનભાઇ રતનભાઇ કરી રહ્યા છે.

Continue Reading

Savli

સાવલી: ઝઘડામાં સમાધાન કરાવવા પહોંચેલી પોલીસ પર પિતાપુત્રએ કર્યો હુમલો,પોલીસે કરી ધરપકડ

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે સોસાયટીમાં થયેલા ઝઘડામાં મહિલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને મદદ માગવામાં આવી હતી. આ દરમિયાન બે પોલીસ જવાનો સ્થળ પર પહોંચતા સામા પક્ષના પિતા પુત્રએ દંડા વડે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનામાં સાવલી પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રજાના રક્ષક તરીકે કામ કરતી પોલીસ સામે ઘણીવાર પ્રજા એટલે કે નાગરિકો બળ પ્રયોગનો ઉપયોગ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસ પર હુમલાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કંટ્રોલ રૂમ પર મળેલી વર્ધીના આધારે સ્થળ પર પહોંચેલા બે પોલીસ જવાનોને પિતા પુત્રએ લાકડી વડે માર માર્યો હતો.

સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી ગુલમોહર પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહાબેન દરબાર દ્વારા 100 નંબર કંટ્રોલ રૂમ પર ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા દિલીપ રાઠોડ તેઓ સાથે ઝઘડો કરે છે.જે વર્ધિના આધારે ગોઠડા બીટ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ તથા રાજેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.

સ્થળ પર જઈને જોતા ફરિયાદી મહિલા સનેહાબેન દરબાર તેમજ તેઓની માતાને અન્ય બે મહિલાઓ વાળ પકડીને માર મારતી હતી. આ મારામારીને રોકવા માટે બંને પોલીસ જવાનોએ વચ્ચે પડતા સ્થળ પર હાજર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ તેમજ જયસુખભાઈ પર દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં પોલીસ જવાનને પગના ભાગે ઇજા પહોંચતા પોલીસ પર હુમલો કરનાર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડની સાવલી પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Savli

સાવલી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત!

Published

on

વડોદરા પાસે આવેલા સાવલી નગરના હાલ, બેહાલ થયા છે. ઠેર ઠેર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની રૂતુમાં ખાસ ચોખ્ખાઇ જાળવવાની હોય ત્યારે સાવલી નગરમાં તેનાથી વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસામાં આ ગંદકી થકી ઉતપન્ન થનારી સમસ્યાઓનો ભોગ લોકો બની શકે છે. લાખો રૂપિયાની પાલિકાને ગ્રાન્ટ મળે છે, પરંતુ સફાઇની સ્થિતી જોઇને અલગ જ ચિત્ર મનમાં ઉપસી આવે તેમ છે. દેશભરમાં સીધી દિશામાં ચાલતું સ્વચ્છ ભારત મિશન સાવલીમાં અધોગતિ તરફ આગળ વધી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.

વડોદરા પાસે સાલવી આવેલું છે. સાવલીમાં ચોમાસાની શરૂઆતમાં જાહેરમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. આ જોતા અનેક ઠેકાણે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરમાં ઠેર ઠેર ઉકરડા જેવી સ્થિતીથી લોકો ત્રસ્ત બન્યા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પરંતુ સફાઇનું સુંદર ચિત્ર માત્ર કાગળ પર જ હોવાનું દેખાઇ આવે છે. ચોમાસામાં બિમાર લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં જાય તેની બહારની સ્થિતી જ ચિતા કરાવે તેવી છે. ચોમાસાની શરૂઆતમાં આ સ્થિતી છે, તો આવનાર સમયમાં કેવી હાલત થશે, આ વિચારે જ લોકોની નિંદર હરામ કરી હોય તેવું લાગે છે. હવે આ મામલો ઉજાગર થતા નિંદ્રાધીન તંત્ર કેટલા સમયમાં જાગે છે તે જોવું રહ્યું. સાવલીમાં વિપક્ષના કોર્પોરેટર હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, સાવલી નગરમાં સમસ્યાનો કોઇ અંત નથી. જે ગટર લાઇન નાંખવામાં આવી હતી, તે જાહેર માર્ગ પર ગંગોત્રી, મોટી ભાગોળ તથા પોલીસ સ્ટેશન નજીક તુટેલા છે. વારંવાર રજુઆત છતાં તેને કોઇ નિકાલ થતો નથી. પ્રિમોન્સૂન કામગીરીમાં પણ ભારે છીંડા જોવા મળી રહ્યા છે.

કોઇ જગ્યાએ કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષની જેમ રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જેના થકી પાણીનો નિકાલ થાય છે, તે કાંસ સાફ કરવામાં આવી નથી. આ સાથે સફાઇ અને પાણીની મુખ્ય સમસ્યા છે. બે-ત્રણ દિવસા ડહોળુ પાણી આવે છે. આ મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે.

Continue Reading

Trending