હરણી બોટ દુર્ઘટનાને હજી એક મહિનાનો સમય થયો છે ત્યાં તો ફરી એક વાર તંત્રની બેદરકારી સામે આવી છે. હરણી બોટ દુર્ઘટના બાદ તમામ જળાશયોમાં પર્યટન અને બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું તેમ છતાંય શહેર નજીક કોટના ગામે લોકો મહીસાગર નદીના કિનારે ભેગા થતા હતા. જ્યાં આજે પારુલ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે પહોંચ્યા હતા. જેમાંથી એક વિદ્યાર્થી નદીમાં ડૂબતા અન્ય વિદ્યાર્થીઓ બચાવી લઈને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
શહેર નજીક કોટના ગામે મહીસાગર નદી નો કિનારો કોટના બીચ તરીકે ઓળખાય છે. આ સ્થળે કેટલીક વોટરસ્પોર્ટ રાઈડ્સ ગામના યુવાનો દ્વારા ચલાવવામાં આવે છે. જોકે હરણી બોટ દુર્ઘટના બાદ જીલ્લા તંત્ર દ્વારા બોટિંગ સહિતની રાઈડ્સ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાંય રવિવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં એકત્રિત થાય છે.
આજે રવિવારે બપોરના સમયે પારુલ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ નું ગ્રૂપ મઝા માણવા આવ્યું હતું. જ્યાં તેઓ નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થી પાણીમાં અંદરની તરફ જતા રહેતા ડૂબી ગયો હતો. જ્યારે તેને બચાવવા માટે ત્રણ વિદ્યાર્થીનીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને ઉંડા પાણીમાં ડૂબતા યુવકને બચાવવા કુદી પડી હતી.
બીટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મનોજકુમાર મસ્તાન બીલિંગકોંડાને બેભાન અવસ્થામાં નદી માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે મદદ માટે ગામના સ્થાનિક તરવૈયાઓ પણ પહોંચી ગયા હતા. જ્યારે 108 એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ નિશા રાજપૂત,આસ્થા પ્રજાપતિ તેમજ પાર્થવી રાઠોડે પોતાનો જીવ જોખમમાં નાખીને ડૂબતા મિત્રનો જીવ બચાવ્યો હતો