- 38 બિનવારસી વાહનોની આજે પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી, 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો – DCP
વડોદરા શહેર પોલીસની ટ્રાફીક શાખા દ્વારા બિનવારસી 38 વાહનોની આજરોજ હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ વાહનોના મૂળ માલિકને જાણ કરવા છતાંય તેમના દ્વારા કોઇ દાવો નહીં કરવામાં આવતા તે ટ્રાફીક શાખાના ટોઇંગ સ્ટેશનમાં ધૂળ ખાઇ રહ્યા હતા. આખરે આજે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ હરાજીમાં પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ અપસેટ વેલ્યુ કરતા વધુ પૈસા મળ્યા હોવાનું ડીસીપીએ જણાવ્યું છે.
વડોદરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો અથવા તો બિનવારસી વાહનોને ટોઇંગ કરીને પશ્ચિમ શાખા ખાતે લાવવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક વાહનો તેના મૂળ માલિક છોડાવી ગયા હતા. તે પૈકીના 38 વાહનો અંગે કોઇએ દાવો કર્યો ન્હતો. આવા વાહનો વિતેલા 6 વર્ષથી ટ્રાફીક શાખાના ટોઇંગ સ્ટેશન પર ધૂળ ખાતા હતા. જેનો નિકાલ કરવા માટે આજે હરાજીનું કરવામાં આવી છે. જે અંગે ટ્રાફીક ડીસીપી જ્યોતિબેન પટેલએ વિગતવાર માહિતી આપી છે.
ટ્રાફીક DCP જ્યોતિબેન પટેલ એ મીડિયાને જણાવ્યું કે, જુદા જુદા સમયે ટ્રાફીક શાખા દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવે છે, અથવા તો જે વાહનો બિનવારી મળી આવે છે, તેને પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. જાહેર જનતાના વાહન હોય તો અમે તેમને તે અંગે જાણ કરી હતી, નોટીસો આપી હતી. પ્રચાર માધ્યમોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઘણાખરા વાહન ચાલકો પોતાનું વાહન લઇને જતા રહ્યા હતા. પરંતુ 38 વાહન એવા હતા જે અંગે કોઇએ દાવો કર્યો ન્હતો. તેવા 38 બિનવારસી વાહનોની આજે પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી. જેમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ હરાજીમાં મુકવામાં આવેલા 38 વાહનોની અપસેટ વેલ્યુ રૂ. 1.71 લાખ નક્કી કરવામાં આવી હતી. જેની સામે હરાજીમાં રૂ. 1.95 લાખમાં વાહનોની હરાજીમાં નક્કી કરવામાં આવ્યા છે. આ વાહનો 6 વર્ષ જુના હોવાનો અંદાજ છે.