વર્ષ 2024 માં વડોદરા શહેરમાં ભયાવહ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જે બાદ એક વર્ષ દરમિયાન ચાલેલી બેઠકો અને કાર્યવાહીઓને લઈને વિશ્વામિત્રી નદીને પહોળી કરીને પૂરની સ્થિતિને ટાળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જ્યારે આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ફાયર બ્રિગેડમાં ફક્ત ત્રણ માસ માટે ૨૦૦ જેટલા તાલીમ બંધ તરવૈયાઓની ભરતી કરવાની દરખાસ્ત આવતા સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. શું આ વર્ષે પણ વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે?
વડોદરાના ઇતિહાસમાં સૌથી વધુ ગત વર્ષે 2024 માં વરસાદી પાણી શહેરમાં ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ પુર કુદરતી નહીં પણ માનવસર્જિત પુર હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું. સમયસર પ્રીમોનસુન કામગીરી નહીં કરવાને કારણે કેટલાક વિસ્તારો સપ્તાહો સુધી પાણીમાં ઘરકાવ રહ્યા હતા.સામાન્ય વરસાદમાં પણ મકાનોની અંદર પાણી પ્રવેશી જતું હતું આ સમગ્ર નિષ્ફળતા પાછળ વિશ્વામિત્રી જવાબદાર હોવાનું તારણ કાઢીને વિશ્વામિત્રી રિવાઇબલ પ્રોજેક્ટ હેઠળ નદીને પહોળી કરવામાં આવી છે. ઠેર ઠેર નદીની આસપાસના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇબલ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડ જેટલું ફંડ પાલિકાને આપવાનું નક્કી કર્યું હતું.
જ્યારે હવે ચોમાસુ શહેરના આંગણે આવીને ઊભું છે ત્યારે પાલિકાના સત્તાધિશોએ 200 જેટલા તાલીમ બંધ તરવૈયાઓની ભરતી કરવાનું આયોજન કર્યું છે.જુલાઈ 2025 થી સપ્ટેમ્બર 2025 એમ ત્રણ માસ માટે મહેસાણાના કોન્ટ્રાક્ટર અલ્ટ્રા મોડર્ન એજન્સી મારફતે 200 જેટલા તરવૈયાઓની ભરતી થશે.
વડોદરા શહેરમાં પૂર ન આવે તે માટે છેલ્લા એક વર્ષથી મથામણ કરી રહેલા અધિકારીઓ અને સત્તાધીશોને 200 જેટલા હંગામી તરવૈયાઓની ભરતી કરવી પડે તે વાતથી સ્પષ્ટ થાય છે કે, વડોદરા શહેર આ વર્ષે પણ પૂરના સંકટથી બચશે નહીં!