લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીને લઈને રાજ્યમાં દિવ્યાંગો, વૃદ્ધો તેમજ અશક્ત મતદારો માટે ખાસ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે કોઈ પણ મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ 30 જેટલી વ્હીલચેર માટે નાંદોદ વિધાનસભાના મતદારો દ્વારા માંગણી કરવામાં આવી છે.
રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ મતદાનના દિવસે મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં પણ ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો તેમજ અશક્ત મતદારો માટે વ્હીલચેર તેમજ પિંક રિક્ષાની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધા મેળવવા માટે સક્ષમ એપ પર નોંધણી કરાવવામાં આવે છે. જેના બાદમાં તંત્ર દ્વારા નોંધણી અનુસાર વ્હીલચેરની ફાળવણી કરવામાં આવે છે.
ત્યારે હાલ રાજ્યમાં સૌથી વધુ કહી શકાય તેટલી 30 વ્હીલચેર માટે નાંદોદ વિધાનસભાના મતદારો દ્વારા સક્ષમ એપ પર માંગણી કરવામાં આવી છે. જેને તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને અને ચૂંટણી તંત્ર વચ્ચે થયેલ MOU અનુસાર નાંદોદ વિધાનસભામાં 50 નંગ વ્હીલચેર અને 9 ઈ-રીક્ષા ફાળવવામાં આવી છે. જે અંતર્ગત 66 મતદાન મથકો પર વ્હીલચેર પહોંચાડી પણ દેવામાં આવી છે. જ્યારે SOU ઓથોરિટીના 19 જેટલા ગામોમાં મતદાનના દિવસે 9 ઈ-રીક્ષા આપવામાં આવશે.