Vadodara

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Published

on

  • સત્યનો સ્વીકાર કે બળવો? પૂર્વ ધારાસભ્ય લાખાવાલાએ કબૂલ્યું – “છેલ્લા ૫ વર્ષના શાસનથી ભાજપની છબી ખરડાઈ.”
  • શુક્લનો પલટવાર: “લાખાવાલા કોઈ જવાબદાર પદ પર નથી, આ તેમનો વ્યક્તિગત મત હોઈ શકે.” – ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ.
  • ભૂતકાળના ઘા તાજા થયા: પૂરમાં તરાપા વસાવવાની સલાહ આપનાર ડો. શીતલ મિસ્ત્રીના નિવેદનથી લઈને ‘લેટર કાંડ’ સુધીના મુદ્દાઓ ફરી ચર્ચામાં.
  • ટિકિટ કાપવાનું કારણ શું? જો શાસન સફળ હતું, તો મોટાભાગના નગરસેવકોને બદલવાની પક્ષને કેમ પડી જરૂર?

વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં 2021 થી 2026 સુધીના શાસનકાળમાં પ્રજાએ ભોગવેલી હાડમારીઓ હવે ભાજપના આંતરિક કલહનું કારણ બની છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાના એક નિવેદને શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

🧐ભૂલોનો સ્વીકાર અને પક્ષની છબી:

ભૂપેન્દ્ર લાખાવાલાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે છેલ્લા 5 વર્ષના પાલિકાના શાસનમાં થયેલી ભૂલોને કારણે ભાજપની છબી ખરડાઈ છે. તેમણે જણાવ્યું કે, આ જ કારણ છે કે પક્ષે મોટાભાગના જૂના ચહેરાઓને પડતા મૂકીને નવા ઉમેદવારોને તક આપવી પડી છે. રાજકારણમાં પરિપક્વતા એ જ છે કે ભૂતકાળની ભૂલો સ્વીકારીને તેને સુધારવામાં આવે.

🗣️સામે પક્ષે બચાવની મુદ્રા:

બીજી તરફ, રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ આ નિવેદનનું સખત ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે લાખાવાલા હાલ પક્ષમાં કોઈ સત્તાવાર પદ પર નથી, તેથી તેમના નિવેદનને ભાજપ સાથે જોડી શકાય નહીં. જોકે, રાજકીય પંડિતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બાલકૃષ્ણભાઈ આને વ્યક્તિગત મત ગણાવતા હોય, તો શું તેમનો બચાવ પણ વ્યક્તિગત નથી?

પ્રજાની પીડા અને શાસકોની નિષ્ફળતા:

ઉલ્લેખનીય છે કે, 2021-2026 ના ગાળામાં વડોદરાની જનતા રસ્તાના ખાડા, ભુવા અને વિશ્વામિત્રીના પૂરમાં સર્જાયેલી તારાજીથી ત્રસ્ત હતી. પૂરના સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીનું “લોકોએ બોટ અને દોરડા વસાવી લેવા જોઈએ” તેવું નિવેદન આજે પણ લોકોના મનમાં ખટકી રહ્યું છે. કાઉન્સિલરોની આંતરિક લડાઈ, લેટર કાંડ અને નિષ્ફળ મેયર જેવા વિષયો સતત પાંચ વર્ષ ચર્ચામાં રહ્યા હતા.

🧐સબ સલામતના દાવા અને વાસ્તવિકતા:

પૂર વખતે જે ધારાસભ્યો પ્રજા વચ્ચે જઈને લોકોનો રોષ સહન કરી શકે તેવી સ્થિતિમાં નહોતા, તેઓ આજે બધું જ ‘સબ સલામત’ હોવાના દાવા કરી રહ્યા છે. ભાજપે આ વખતે નો-રિપીટ થીયરી અપનાવીને એ સાબિત કરી દીધું છે કે ક્યાંક ને ક્યાંક શાસનમાં મોટી કચાશ રહી ગઈ હતી.

🫵શું જૂના જોગીઓનું મૌન અને નવા ચહેરાઓનો ઉદય ભાજપ માટે ફાયદાકારક રહેશે કે પછી આ આંતરિક નિવેદનબાજી ચૂંટણીમાં મોટું નુકસાન કરાવશે?

Trending

Exit mobile version