- પાણીનો કકળાટ: વડોદરાના વોર્ડ નં. 14માં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને ઓછા દબાણથી પાણી મળતા સ્થાનિકો ત્રાહિમામ.
- નિમેટા પ્લાન્ટ પર હોબાળો: સમસ્યાના ઉકેલ માટે કોંગ્રેસના કાઉન્સિલરો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ આજવા-નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે દોડી ગયા.
- તંત્ર સામે આકરા સવાલ: કાઉન્સિલરોએ સવાલ કર્યો કે નર્મદાના પાણી કચ્છ મોકલાતા હોય તો વડોદરાને કેમ અછત? મહીસાગરનો વિકલ્પ કેમ નથી તપાસાતો?.
- સ્થાનિક વિસ્તારોમાં હાલાકી: વચલી પોળ, સોની પોળ, છીપવાડ અને બાવરી કુંભારવાડા સહિતના વિસ્તારોમાં નાગરિકો દૂષિત પાણીથી પરેશાન.
વડોદરા: શહેરના વોર્ડ નંબર-14ના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. વચલી પોળ, સોની પોળ, છીપવાડ અને બાવરી કુંભારવાડા જેવા વિસ્તારોમાં રહેવાસીઓને છેલ્લા લાંબા સમયથી પૂરતા દબાણથી પાણી મળતું નથી, એટલું જ નહીં, પાણીની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
🧐કાઉન્સિલરોની રજૂઆત:
આ વિકટ પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે વોર્ડ નં. 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ આજવા-નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન જાણવા મળ્યું હતું કે, આજવા સરોવરની સપાટી હાલ 206 ફૂટ છે અને નર્મદામાંથી પાણીની આવક ઓછી હોવાનું કારણ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
🗣️તંત્રને આકરા પ્રશ્નો:
આ બાબતે કાઉન્સિલરોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, જો નર્મદામાં પાણીની આવક ન હોય, તો કચ્છ તરફ પાણી કેવી રીતે મોકલાય છે? તેમણે માંગ કરી છે કે જો નર્મદામાં પાણીની અછત હોય, તો મહીસાગર નદીમાંથી પાણી મેળવવાનો વિકલ્પ તાત્કાલિક શોધવો જોઈએ. સ્થાનિક નાગરિકોની હાલાકીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરકારક પગલાં લેવા માટે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
🫵પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે વડોદરાના નાગરિકોએ વલખા મારવા પડી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે કયા નક્કર પગલાં લે છે.