- પક્ષ નહિ, પણ વ્યક્તિ અને કામગીરી જોઇને વોટ કરતી ગ્રામ્યની પ્રજા પાસે શહેરી મતદારોએ શીખવું જોઈએ!
- ગ્રામ્યના આંતરિક રાજકારણમાં પણ સત્તાનું સંતુલન જાળવી રાખવાની કળા ગ્રામ પંચાયતોની ચુંટણીમાં જોવા મળી
- જ્યાં કોંગ્રેસનું અસ્થીત્વ જ શૂન્ય થઇ ગયું છે ત્યાં પણ ભાજપના નેતાઓના સમર્થનના ઉમેદવારો હાર્યા!
(મૌલિક પટેલ-એડિટર) ચુંટણી એ લોકશાહીનો ધબકાર છે. અને આ ચુંટણીઓ ભવિષ્યના આગેવાનોનું ઘડતર કરે છે. હાલ ગ્રામ પંચાયતોની ચુંટણીના સામે આવી રહેલા પરિણામો ઘણા ઉદાહરણો પ્રસ્થાપિત કરી રહ્યા છે. કેટલાક મોટા ગજાના નેતાઓના સમર્થનથી સર્જાયેલી પેનલો અને ઉમેદવારોની કારમી હાર થઇ છે. જયારે કામ કરનારા અને યુવાન ઉમેદવારોને મજબુત બહુમતી મળી છે.
વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ અને મહાનગરોની ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં શહેરી વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા એમ પ્રચાર થતો હતો કે, કાશ્મીરમાં 370 નાબુદ કરનાર ભાજપને વોટ આપવો જોઈએ. શહેરી પ્રજા પણ સ્થાનિક ચુંટણીમાં સ્થાનિક પ્રશ્નોને બદલે રાષ્ટ્રીય પ્રશ્નોના આધારે મતદાન કરતી થઇ ગઈ.. અંતે દર વર્ષે વડોદરા મહાનગરને પૂરના સંકટનો સામનો કરવો પડે છે. સ્પષ્ટ બહુમતી અને નબળા વિપક્ષને કારણે શહેરી નાગરીકોને દર ચોમાસે વેઠવું પડે છે.
આનાથી વિપરીત ગ્રામ્ય વિસ્તારની પ્રજા ભલે મોર્ડન વિચારોની ન હોય, છતાંય ગામ માટે શું જરૂરી છે. તેની યોગ્ય સમજણ રાખે છે. ગામના નાગરીકો ઉમેદવારોને વ્યક્તિગત રીતે ઓળખે છે. પક્ષ વિપક્ષથી ઉપર જઈને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યાં કોઈ એક વ્યક્તિનો વધુ પડતો દબદબો ન થાય તે રીતે સંતુલન બનાવી રાખવાની કળા ગ્રામ્ય મતદારો પાસે છે. જયારે ગ્રામ્ય મતદારોએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સર્જેલા કેટલાક મહત્વના “અપસેટ”(કે જેની કોઈએ ધારણા પણ નહતી કરી)ની ચર્ચા અહી કરીશું.
જીલ્લા કક્ષાનો હોદ્દો અને વોર્ડ કક્ષાએ હાર
વડોદરા તાલુકાના રણોલી ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામોએ સૌથી પહેલા ભાજપ માટે એક નિરાશાજનક સમાચાર આપ્યા જ્યાં વોર્ડ કક્ષાની ચુંટણીમાં જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ લતાબેન પટેલ તેઓના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રેખાબેન માછી સામે 11 મતે હારી ગયા, જે આગેવાન પાસે જીલ્લા કક્ષાનો હોદ્દો હોય તેવા આગેવાન ગ્રામ પંચાયતમાં પોતાના રહેઠાણ ધરાવતા વોર્ડમાં ચુંટણી ન જીતી શકે એટલે સ્વાભાવિક છે. ચર્ચાનો વિષય બને, પણ આ નિરાશાજનક હાર લતાબેનની સાથે સાથે જીલ્લા સંગઠનને પણ વિચારવા મજબુર કરે છે.કે હોદ્દાની લાહણી કરવાથી વ્યક્તિત્વ મોટું નથી થતું!
તાલુકા ભાજપ પ્રમુખ સમર્થિત આખી પેનલ હારી ગઈ
વડોદરા તાલુકાના અંકોડીયા ગામે પણ ભાજપના હોદ્દેદારોને વિચારવા મજબુર કરી દે તેવું પરિણામ સામે આવ્યું છે. કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણ જ્યારથી થયું ત્યારથી ગામેગામ કોંગ્રેસનો કોઈ મજબુત ચહેરો રહ્યો નથી. હવેની ગ્રામ્ય કક્ષાની લડાઈ ભાજપ વર્સીસ ભાજપની થઇ છે. પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલા દર્પણ પટેલને વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળી, પક્ષના વફાદાર નહિ પણ વ્યક્તિના વફાદાર હોવાને કારણે તેઓને હોદ્દાનું ઇનામ મળ્યું. આ ઇનામ તેમણે ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ કામ ન લાગ્યું. પૂર્વ સરપંચ ઉપ્લેશ પટેલની વિરુદ્ધની પેનલ તૈયાર કરીને દર્પણ પટેલના સમર્થન સાથે ચુંટણીમાં ઉતારી, પણ આખેઆખી પેનલની હાર થઇ, જયારે મયુરીબેન ઉલ્પેશ પટેલની જીત થઇ.
ધારાસભ્યની નિકટતા પણ ફળી નહિ!
સાવલી તાલુકાના બે કિસ્સામાં મોટો અપસેટ સર્જાયો છે. જેમાં સાવલી તાલુકા ભાજપ મહામંત્રી સુનીલ પટેલ ધારાસભ્ય કેતન ઈનામદારના નજીકના કહેવાય છે. તેઓ મુવાલ ગામના વાતની છે.મુવાલ ગામમાં ચુંટણી દરમિયાન સરપંચના ઉમેદવાર સંગીતાબેન નરેશભાઈ ઠાકોરને સુનીલ પટેલનું સમર્થન મળ્યું હતું. જયારે સામા ઉમેદવાર રીટાબેન યુવરાજસિંહ ઠાકોર પણ ચુંટણી લડી રહ્યા હતા. તાલુકા સંગઠનના મહામંત્રી સુનીલ પટેલના સમર્થન બાદ પણ સંગીતાબેન ચુંટણી જીતી શક્યા નહિ, જયારે રીટાબેન 65 વોટથી સરપંચ પદ માટે ચુંટણી જીતી ગયા.
ઈન્દ્રાડ ગામની ચુંટણીનો કિસ્સો પણ જીલ્લામાં ચર્ચાઈ રહ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારના નિકટના કહેવાતા વાલજીભાઈ રબારી(ઉપપ્રમુખ- સાવલી તાલુકા પંચયાત) દ્વારા રચવામાં આવેલી પેનલમાં મોટાભાગના ઉમેદવારોની હાર થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જયારે તેઓના સમર્થનથી સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રીનાબેન કાર્તિકકુમાર પરમારની હાર થઇ છે. જયારે વિરુદ્ધની પેનલના સરપંચ પદના ઉમેદવાર જયમીનબેન સંદીપભાઈ જયસ્વાલની જીત થઇ છે.
આ તો ફક્ત વડોદરા જીલ્લાની વાત થઇ, અરવલ્લીના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરીટસિંહ પરમાર તેઓના જીતપુર ગામમાં સરપંચ પદની ચુંટણીમાં 653 મટે હાર્યા છે. જયારે 1995થી 2022 સુધી વિધાનસભામાં વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીરનો પુત્ર ત્રિકમ આહીર પણ ગ્રામપંચાયતમાં સરપંચ પદની ચુંટણી હાર્યો છે. ગ્રામ્ય વિસ્તારના મતદારો આજે પણ પવનથી વિરુદ્ધ જઈને મતદાન કરવાની ક્ષમતા રાખે છે.