વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં તળાવોના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલું તળાવ અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગયું છે. છેલ્લા 15 દિવસથી તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના રહીશોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.
રહીશોની વ્યથા:
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે અને પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. ગંદા પાણી અને કચરાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને પગલે વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનું જણાય છે.
સ્થાનિક આગેવાનોએ સમસ્યાના ઉકેલ માટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ ભાઈ) નો સંપર્ક કર્યો હતો. તેઓ તુરંત તળાવ પર પહોંચ્યા હતા અને રહીશોની સમસ્યા સાંભળી હતી. તેમણે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “બ્યુટિફિકેશનના નામે આ તળાવમાં ફક્ત નામપૂર્તિ જ કામગીરી કરવામાં આવી છે અને કામના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે.”
તંત્રને અલ્ટીમેટમ:
પૂર્વ કાઉન્સિલરે માંગ કરી છે કે વહેલી તકે આ તળાવની વૈજ્ઞાનિક ઢબે સાફ-સફાઈ કરવામાં આવે અને રહીશોને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવે. જો આગામી દિવસોમાં સફાઈ નહીં થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
🫵શું વડોદરા પાલિકા માત્ર કાગળ પર જ તળાવોને સુંદર બનાવે છે? દંતેશ્વરની આ સ્થિતિ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલી રહી છે.