- ચોરીની ઘટના: ભાયલીના આર્ષ વિદ્યામંદિર આશ્રમમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા.
- મોડસ ઓપરેન્ડી: રાત્રિના સમયે ત્રણ તસ્કરોએ દાનપેટી તોડી 7,000થી વધુની રોકડ રકમની ચોરી કરી.
- પોલીસ ફરિયાદ: સ્વામી ધન્યાનંદજી સરસ્વતીની ફરિયાદના આધારે વડોદરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો.
- તપાસ તેજ: સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વડોદરા : હાલ દેશભરમાં રામ મંદિરના દાન પાત્ર માંથી ચોરીનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે ભગવાનના મંદિરમાં ચોરી કરનાર કલિયુગી રાક્ષસો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. એવામાં આજે વડોદરામાં ભાયલી ખાતે આર્ષ વિદ્યામંદિર આશ્રમમાં તસ્કરોએ હાથફેરો કરીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દાન પાત્રના તાળા તોડીને અંદાજે 7,000 થી વધુ રોકડ રકમની ચોરી કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
ચોર -ચોર માં શું ફેર? કોઈ દાન પેટી ખોલીને ચોરી કરે અને કોઈ દાન પેટી તોડીને ચોરી કરે, અંતે કહેવાય તો બંને ચોરી! આજના કળિયુગી તસ્કરો ભગવાનના મંદિરોને પણ છોડતા નથી. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઇષ્ટદેવના દરવાજાને પણ તોડીને ભાવિક ભક્તોએ સ્વેચ્છાએ મૂકેલું દાન પણ ઉઠાવી જઈ રહ્યા છે. વાત કરોડની હોય કે હજારની ભગવાનના મંદિરમાં થયેલી ચોરી તે આજના સમાજની વરવી વાસ્તવિકતા ના દર્શન કરાવે છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાયલી ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિર પરિસરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દાનપાત્ર તોડીને ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
ફરિયાદી સ્વામી ધન્યાનંદજી સરસ્વતી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 3 જુલાઈના રાત્રિના એક થી બે વાગ્યાના અરસામાં ભાયલી ગામે આવેલા આર્ષ વિદ્યામંદિર આશ્રમના પરિસરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશદ્વાર ઉપર લગાવેલી દાન પેટી કોઈ સાધન વડે તોડીને ભાવિક ભક્તોએ દાનપેટીમાં સ્વેચ્છાએ મુકેલા 7000 ઉપરાંતની રકમ ત્રણ તસ્કરો દ્વારા ચોરી કરીને લઈ જવામાં આવી છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.