Vadodara

વડોદરા: 10 મહિનાથી નાસતા-ફરતા છેતરપિંડીના આરોપીઓને વારસીયા પોલીસે દબોચ્યા

Published

on

વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને બાતમીના આધારે પંચશીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨) અને ૫૪ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સાબરકાંઠાના બે શખ્સો પોલીસ પકડથી બચવા માટે નાસતા-ફરતા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને JCP ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ, વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

🚨બાતમી અને ધરપકડ

વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે અ.પો.કો. મહેશભાઈ કાળુભાઈ અને અ.લો.ર. ચેતનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે રામોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓ વારસીયા વિસ્તારમાં નાથીબાનગર સોસાયટીના નાકા પાસે ઉભેલા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હ્યુમન સોર્સની મદદથી નીચે મુજબના બે આરોપીઓની ધરપકડ કરી હતી:

  • સાહિલ જાનમહંમદ મેમણ (ઉ.વ. ૨૮) – રહે. વડાલી, જિ. સાબરકાંઠા.
  • અર્જુન ગોપાલભાઈ વણઝારા (ઉ.વ. ૩૧) – રહે. ઈડર, જિ. સાબરકાંઠા.

📌કબ્જે કરેલો મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતના ૩ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે:

  • એક વિવો મોબાઈલ (સાહિલ મેમણ પાસેથી)
  • એક આઈફોન ૧૫ પ્રો અને એક વિવો મોબાઈલ (અર્જુન વણઝારા પાસેથી)

🧐 ગુનાહિત ઈતિહાસ

પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. સાહિલ મેમણ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ધમકીનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અર્જુન વણઝારા વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂ) અને અન્ય કાયદાઓ હેઠળ અગાઉ ૦૩ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

વારસીયા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Trending

Exit mobile version