- મોટી દુર્ઘટના: કરચિયા યાર્ડમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મી વીજ કરંટની ઝપેટમાં આવતા જીવન-મરણ વચ્ચે જોલા.
- પરિવારનો આક્રોશ: સેફ્ટી સાધનોના અભાવે અકસ્માત થયો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો.
- રેલવે તંત્રનો બચાવ: “કરંટ લાગ્યો કે નીચે પટકાયા તે હજુ સ્પષ્ટ નથી” – તપાસ બાદ સત્ય બહાર આવશે: PRO.
- સુરક્ષા સામે સવાલ: રેલવે યાર્ડમાં કામ કરતા હજારો કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે?
વડોદરા: વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારી ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. ટેન્ક વેગન મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ખલાસી ગૌતમ સોલંકીને વીજળીનો જોરદાર કરંટ લાગતા તેમની હાલત અત્યંત નાજુક બની છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.
👇ઘટનાની વિગત:
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌતમ સોલંકી કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ હાઈવોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બનતા જ યાર્ડમાં દોડધામ મચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના સમયે કર્મચારીએ સેફ્ટી ગિયર પહેર્યા હતા કે કેમ તે બાબતે અનેક રહસ્યો સર્જાયા છે.
🧐પરિવારનો રોષ અને તંત્રની તપાસ:
આ અકસ્માતની જાણ થતા જ ગૌતમ સોલંકીના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, રેલવે PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, “હાલમાં કર્મચારીને બચાવવો અમારી પ્રાથમિકતા છે. ટેન્ક વેગન મેન્ટેનન્સ દરમિયાન તેમને કરંટ લાગ્યો છે કે તેઓ નીચે પટકાયા છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.”
🫵સુરક્ષા અંગે ઉઠતા સવાલો:
આ ઘટનાએ રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. શું કર્મચારીઓને પૂરતા સુરક્ષા સાધનો આપવામાં આવે છે? શું મેન્ટેનન્સ દરમિયાન જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે? રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી છે.
👉હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં ભરે છે કે પછી તપાસના નામે ભીનું સંકેલી લેવાય છે.