PM આવાસ નજીક ધરણા:રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા વિરોધ પ્રદર્શન.
રાજીનામાની માંગ:પેપર લીક અને લાઠીચાર્જના વિરોધમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ.
હોસ્પિટલ મુલાકાત:દિગ્ગજ નેતાઓએ RML હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી.
સંસદથી સડક સુધી હોબાળો:વિપક્ષને ચર્ચામાં તક ન મળતી હોવાનો આક્ષેપ કરી કાગ્રેસ અને વિદ્યાર્થીઓ સરકાર સામે આક્રમક મૂડમાં.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પરીક્ષા કૌભાંડો અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ અને ટિયર ગેસના શેલ છોડવાની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનો ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત PM આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે.
🚨માર્ચ અને પોલીસ કાર્યવાહી:
મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ સુધી આશરે 7 કિલોમીટરની લાંબી પેદલ માર્ચ કાઢવામાં આવી હતી. અગાઉ, સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ નેતાઓને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલ છે.
પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે RML હોસ્પિટલ પહોંચીને ઘાયલ યુવાનોના ખબર-અંતર પૂછ્યા હતા અને વેન્ટિલેટર પર રહેલી એક ગંભીર ઈજાગ્રસ્ત યુવતીના માતા સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતાનો જવાબ માંગવા માટે જ તેઓ વડાપ્રધાનના ઘર સુધી માર્ચ કરી રહ્યા છે. દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવા બદલ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ સદનમાં વિપક્ષને બોલવા દેવામાં ન આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી, પરંતુ કોઈ લેખિત ખાતરી ન મળતા આંદોલન યથાવત છે અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.