- મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું
- વડોદરામાં ભક્તોની શ્રદ્ધા સાથે ખીલવાડનો મામલો સામે આવ્યો
- લોકોને ચમત્કાર ગણાવવા માટે દશામાંની મૂર્તિ પાસે ઘી ગોઠવ્યું
- વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા હકીકત બહાર આવી
હાલમાં દશામાંનું વ્રત ચાલી રહ્યું છે. દરમિયાન વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા દશામાં ના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી વહેતું હોવાની વાત ફેલાતા વિજ્ઞાન જાથા ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ચમત્કારનો પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે આકરા સવાલો કરતા માતાજીની સેવાપૂજા કરનારાઓ ભાંગી પડ્યા હતા. અને તેમણે પોતાની ભૂલ સ્વિકારી હતી. સાથે જ વિજ્ઞાન જાથાના અગ્રણીએ તમામ ધર્મોના લોકોને આ પ્રકારના ધતિંગથી દુર રહેવા માટેની અપીલ કરી હતી.
દશામાંના મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું. જેમાં તેઓ જણાવે છે કે, આ ઘીના પરચામાં અમે માનતા નથી. લોકોને પરચામાં મનાવું છું. દશ થાળી ઘી શ્રદ્ધાળુઓને બતાવવા માટે ગોઠવી રાખ્યું હતું. જે અમારી ભૂલ છે. અંતમાં તેમણે જણાવ્યું કે, ઘીનું ડિંડક આજથી બંધ કરવાની અમે જાહેરાત કરીએ છીએ.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઇ પંડ્યાએ મીડિયા સાથેની વાતમાંં જણાવ્યું કે, વાઘોડિયા રોડ પર દશામાંની સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ મથકના કર્મીઓ સાથે મેળવવામાં આવી છે. આ સમગ્ર મામલો બેબુનિયાદ તુત સાબિત થયું છે. તેમાં પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ એક લૂંટનુ કારસ્તાન બહાર આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આવું ચલાવતા હતા. તેમણે કબુલાતનમું આપ્યું છે, અને માફીપત્ર પણ આપ્યું છે. તેમણે લોકોની માફી માંગી અને ષડયંત્ર પુર્વક ઘી નીકળતું હોવાનું જણાવ્યું છે. દશામાં ના વ્રત દરમિયાન આંખમાંથી ઘી નીકળવાની ઘટનાની કબુલાત આપી છે. વિજ્ઞાન જાથાએ 1273 મો સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ પર્દાફાશમાં મદદ કરી છે. લોકોને અપીલ કરીએ છીએ કે, લોકોએ ધતિંગબાજોથી સાવધાન રહેવું જોઇએ. આવા લેભાગુઓથી દુર રહેવા માટે વિજ્ઞાન જાથા અપીલ કરે છે.