- નાગરિકોને સોશિયલ મીડિયા પર ભડકાઉ અને ભ્રમિત કરનારી પોસ્ટ, લખાણ, અથવા વીડિયો થી દુર રહેવા માટે જણાવવામાં આવ્યું છે
- સોશિયલ મીડિયામાં તણાવ વધે તેવી પોસ્ટ કરતા કાર્યવાહી
- સોશિયલ મીડિયામાં તણાવ વધે તેવી પોસ્ટ કરતા કાર્યવાહી
- વૃદ્ધે ભડકાઉ પોસ્ટ મુકતા મામલો પોલીસ મથક પહોંચ્યો
- દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર સંયમ વર્તવા તંત્ર પહેલાથી અપીલ કરી રહ્યું છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોનો હજીસુધી અંત આવ્યો નથી. ત્યારે આ દરમિયાન લોકોને જવાબદાર નાગરિક તરીકે વર્તવા અને કોઇ પણ પ્રકારે દેશ, રાજ્ય, શહેર-જિલ્લાનું વાતાવરણ ના ડહોળાય તે માટે સતર્ક રહેવા જણાવાયું છે. આ વચ્ચે સાવલીના વૃદ્ધ દ્વારા દેશના વડાપ્રધાન અને ભારતના ઝંડાનો વાંધાનજક વીડિયો સોશિયલ મીડિયામાં રિપોસ્ટ કર્યો છે. આ મામલે તેવા વિરૂદ્ધ સાવલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલા પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ સોશિયલ મીડિયાનું સઘન મોનીટરીંગ કરી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદથી તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. સ્થિતી સામાન્ય બને તે માટે બંને દેશોના આર્મીના ટોચના અધિકારીઓ દ્વારા 12 મે સુધી યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. આ વચ્ચે દેશથી લઇને જિલ્લા સુધીનું વાતાવરણ ના ડહોળાય તે માટે નાગરિકોને સતત સતર્ક રહેવા માટે જણાવાયું છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારે ભડકાઉ અને ભ્રમિત કરનારી પોસ્ટ, લખાણ, અથવા વીડિયો થી દુર રહેવા માટે જણાવાયું છે. નાગરિકોને તાકીદ કર્યા બાદ પોલીસ તેના સ્તરે મોનીટરીંગ પણ કરી રહી છે. આ વચ્ચે સાવલીમાં વૃદ્ધે સરકારની અપીલથી વિરૂદ્ધનું કૃત્ય કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સાવલીમાં સત્તાર શેખ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા ભારતના ઝંડા અને વડાપ્રધાનને વાંધાજનક રીતે દર્શાવે તેવો વીડિયો રીશેર કર્યો હતો. જે હાલના તણાવના સમયગાળા દરમિયાન ભારતીય સેનાના પરાક્રમોને બિરદાવવાની બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરે તેવા ઇરાદાથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે સત્તારમીયા નશરુમીયા શેખ (ઉં. 63) (રહે. સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ઇન્ચાર્જ પીઆઇ એમ. બી. જાડેજાને તપાસ સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.