Vadodara

વડોદરાના ગોરવા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ: 150 ઝૂંપડા તોડાયા, વિરોધ છતાં કાર્યવાહી પૂર્ણ

Published

on

વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત, ગેરકાયદેસર વસાહત પર પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી કરી છે. ગઈકાલે 209 ઝૂંપડા તોડી પાડ્યા બાદ આજે બાકી રહેલા વધુ 150 ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું, જેના પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો.

🫵ઝૂંપડાધારકોનો વિરોધ,👮પોલીસની સમજાવટ

ગોરવા દશામાં મંદિર સામે છેલ્લા કેટલાય સમયથી અંદાજે 350 જેટલા ઝૂંપડામાં શ્રમજીવીઓ રહેતા હતા. આ પૈકીના બાકી 150 ઝૂંપડા તોડવાની કામગીરીનો અનેક ઝૂંપડધારકોએ ભારે વિરોધ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ ટીમે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો, જેના કારણે દબાણ શાખાની કાર્યવાહી સરળ બની શકી હતી.

🚨સુરક્ષાના સઘન બંદોબસ્ત સાથે કાર્યવાહી

ગુજરાત હાઉસિંગ બોર્ડની માગણી મુજબ, પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારે વહેલી તકે કાર્યવાહી શરૂ કરી હતી. ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, એસઆરપીની ટીમ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને વીજ નિગમનો સ્ટાફ પણ સુરક્ષાના સઘન બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ કાર્યવાહી સાથે, હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની પ્રક્રિયા માટે જગ્યા ખાલી કરાવવાનું કાર્ય પૂર્ણ થયું છે.

Trending

Exit mobile version