વેરો ભરતા નાગરિકો બાદ હવે પશુઓ પણ અસુરક્ષિત: તંત્ર સામે લોકોમાં ભારે રોષ.
વડોદરા મહાનગર પાલિકાની વધુ એક જીવલેણ બેદરકારી સામે આવી છે. સંસ્કારી નગરીના સ્માર્ટ વહીવટના દાવાઓ વચ્ચે કારેલીબાગ વિસ્તારમાં એક ખુલ્લી ગટર અબોલ પશુ માટે ફાંસલો બની હતી. ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે પસાર થઈ રહેલા એક ઊંટનો પગ તેમાં ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસેની છે. અહીં લાંબા સમયથી ગટરનું ઢાંકણ ખુલ્લું હોવા છતાં પાલિકાના તંત્રએ તેની દરકાર કરી નહોતી. આજે જ્યારે એક ઊંટ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેનો પગ ગટરના હોલમાં ઊંડે સુધી ફસાઈ ગયો હતો.
🧐સ્થાનિકોની સમયસૂચકતા:
પગ ફસાઈ જવાથી ઊંટ પીડાથી કરાહતું હતું અને તેના માલિકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ઘટના જોતા જ આસપાસના રહીશો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને ઊંટનો પગ સહી-સલામત બહાર કાઢ્યો હતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને ઊંટના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.
👉તંત્ર સામે સવાલ:
અત્યાર સુધી વડોદરાના રસ્તાઓ પર ખુલ્લી ગટરો કે ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બનતા હતા, પરંતુ હવે બેજુબાન જાનવરો પણ સુરક્ષિત રહ્યા નથી.
શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વેરા વસૂલવામાં વ્યસ્ત પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ક્યારે હલશે?