- સુખપાલમાં રથને માંડવીમાંથી પસાર કરવામાં આવશે. અને ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થશે – મહંત
- વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરા જળવાશે
- મંદિરના મહંત દ્વારા અનોખો નિર્ણય લેવાયો
- રાજવી પરિવારના પૂજા-અર્ચન બાદ વરઘોડો પ્રસ્થાન પામશે
વડોદરા માં આવતી કાલે દેવપોઢી અગિયારસ ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો નીકળશે. આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. પરંતુ આ વખતે રિસ્ટોરેશન ચાલતું હોવાથી પ્રથમ ભગવાન સુખપાલ રથમાં બિરાજમાન થશે. ત્યાર બાદ ભગવાનને પરંપરા અનુસાર માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી પસાર કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થઇને નગરચર્ચાએ જશે. શહેરમાં વિવિધ કાર્યક્રમોના અંગે ભગવાન વિઠ્ઠલનાથજી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.
વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઇ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 1866 માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિમાર્ગીપ ઉત્સવો ઉજવવામાં આવે છે. દેવપોઢી અને દેવઉઠી અગિયારસે વરઘોડો નીકળે છે. તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખુબ જ સરાહનીય છે. વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા, ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહનવ્યવહારની સુવિધા ન્હતી. જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડા નીકળે છે. તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઇ શકતા ન્હતા. અને હાલમાં જઇ શકતા નથી, તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આવતી કાલે શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 216 મો વરઘોડો નીકળનાર છે. જેમાં ભગવાન સોના-સાંદીના રથમાં સવાર થઇને ભક્તોને દર્શન આપશે. આમ કહીએ તો, ગાયકવાડી સમયથી પરંપરા ચાલી રહી છે. દરેક વરઘોડા માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી નીકળતા હોય છે. પરંપરા ચાલતી આવી છે. પરંતુ હાલમાં માંડવી દરવાજાની દયનિય પરિસ્થિતી છે. તેનું રિસ્ટોરેશન કાર્ય ચાલી રહ્યું છે, અને તેના વચ્ચે ગડરો લગાવી દેવામાં આવ્યા છે. જેથી રથ માંડવીમાંથી પસાર થઇ શકે તેમ નથી. જેથી પરંપરા જળવાય તે માટે મંદિરની પ્રાચિન પાલખી, પુષ્ટિમાર્ગિય સુખપાલમાં ભગવાનને બેસાડીને, તેમને માંડવીમાંથી પસાર કરવામાં આવશે. અને ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થશે.
આખરમાં તેમણે જણાવ્યું કે, અમે પરંપરા જાળવવા માટે આ નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા-આરતી કરવામાં આવશે. આવતી કાલે રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ સહિતના રાજવી પરિવારના સભ્યો જોડાશે. વરઘોડો નીકળશે, બપોરે હરિહરનું મિલન થશે. અને સાંજે ભગવાન નીજ મંદિરમાં પરત ફરશે.