મથુરા: ઉત્તર પ્રદેશના પવિત્ર મથુરા-વૃંદાવનમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ હોડી વૃંદાવનથી માન તરફ મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં તેની ક્ષમતા કરતા વધુ, એટલે કે અંદાજે 25 જેટલા લોકો સવાર હતા. જ્યારે હોડી કેસી ઘાટ નજીક પહોંચી ત્યારે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે તે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કરને કારણે હોડીએ સંતુલન ગુમાવ્યું હતું અને પળવારમાં જ ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.
🧐બચાવ કામગીરી અને જાનહાની:
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. 15 લોકોને નદીમાંથી જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, કમનસીબે 8 લોકોના શ્વાસ થંભી ગયા હતા. મૃત્યુ પામનાર શ્રદ્ધાળુઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોવાની વિગત મળી રહી છે.
👉વહીવટીતંત્રનું વલણ:
આ ઘટનાને પગલે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને હોડી ચાલકની બેદરકારી કે અન્ય કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે ભારે શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
🫵પવિત્ર યાત્રાધામમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.