અડાજણ-પાલ ગામ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કાર શોરૂમમાં હાલ કોઈ આગ લાગવાના ચોક્કસ કારણો અને થયેલા નુકસાનનું આકલન કરવાની કામગીરી ચાલી રહી છે.
- મહિન્દ્રા કાર શોરૂમના વર્કશોપ વિભાગમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી
- વર્કશોપમાં રિપેરિંગ માટે મૂકાયેલી કાર બળીને ખાખ થઈ ગઈ
- દશેરાના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે બુક કરાઈ હતી.
ગુજરાતના સુરતમાં આવેલ અડાજણ-પાલ ગામ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કાર શોરૂમના વર્કશોપ વિભાગમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં વર્કશોપમાં રિપેરિંગ માટે મૂકાયેલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું મુખ્ય કારણ એક્સ્ટ્રા વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ શોરૂમ અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
એતો સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી અને સમયસર ફાયર વિભાગને જાણ થવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. વર્કશોપમાં આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં કારોને નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ખાસ કરીને એ ગાડીઓને મોટું નુકસાન થયું છે જે દશેરાના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે બુક કરાઈ હતી અને શોરૂમમાં પડી હતી.
જ્યારે ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈને પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવી દેવાતાં આગ શોરૂમના મુખ્ય ભાગમાં પ્રસરતી અટકી હતી. જેના કારણે મોટું આર્થિક નુકસાન થતાં બચી ગયું હતું. હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણો અને થયેલા નુકસાનનું આકલન કરવાની કામગીરી ચાલી રહી છે.