- આજે સવારે તેમના કુટિરમાંથી એકાએક માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોને કંઇક અજુગતું થયું હોવાની આશંકા ગઇ હતી
- મંદિર પરિસરની કુટિરમાંથી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી
- સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરતા જવાનો દોડી આવ્યા
- પોલીસ જવાનોએ દુર્ગંધથી બચવા માથુ ઢાંકીને તપાસ આરંભી
વડોદરા ના જેતલપુર બ્રિજના એક છેડે આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ના પરિસરમાં આવેલા કુટિરમાં 57 વર્ષિય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોને શંકા ગઇ હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ મથકના જવાનો દોડી આવ્યા છે. મહિલાનો મૃતદેહ આશરે 6 દિવસથી ઘરમાં જ પડી રહ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો અને પોલીસ જવાનોએ પોતાનું મોઢું ઢાંકવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુરા બ્રિજના એક છેડે નવનાથ પૈકીનું ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પરિવારો વસી શકે તે માટે રહેણાંક કુટિર આવેલા છે. આ કુટિરમાં દિપાબેન ભટ્ટ નામના 57 વર્ષિય મહિલા રહેતા હતા. છેલ્લા કેટલાય દિવસોથી આસપડોશના લોકોએ તેમને જોયા ન્હતા. આજે સવારે તેમના કુટિરમાંથી એકાએક માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોને કંઇક અજુગતું થયું હોવાની આશંકા ગઇ હતી. જેથી તેમણે તુરંત સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.
ઉપરોક્ત મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવા માટે વડોદરા પોલીસ વિભાગના ફોરેન્સીક ક્રાઇમ સીન મેનેજર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વૈજ્ઞાનિક ઢબે તપાસ આરંભી હતી. આ ઘટના સમયે મૃતકના પરિજન પણ દોડી આવ્યા હતા. પરિચીતે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, મહિલા ઘરમાં જ હતા. તેઓ સંબંધે અમારા સાળી થાય છે. અમે અમદાવાદ રહીએ છીએ. તેઓ અહિંયા એકલા રહેતા હતા. તેઓ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા.