Savli

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Published

on

  • 8 મહિનાથી અંધેર નગરી: રાણીયા ગામમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને પૂરતો જથ્થો મળતો નથી; ગરીબોના હકનું અનાજ ક્યાં ગયું?
  • દુકાનદારની દાદાગીરી: રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને શશીકાંતભાઈએ આપ્યો ઉદ્ધત જવાબ; સવાલો પૂછતા ગ્રાહકોને મળે છે ધમકીઓ.
  • મોટા માથાઓની છત્રછાયા? “કોઈના સાથ વગર આવો છબરડો શક્ય જ નથી”; ભ્રષ્ટાચારના આ ખેલમાં કોના હાથ કાળા છે તે તપાસનો વિષય.
  • મામલતદાર કચેરીએ મોરચો: જો સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનો લેખિત ફરિયાદ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો પર્દાફાશ થયો છે. છેલ્લા આઠ-આઠ મહિનાથી ગરીબ કાર્ડધારકોને તેમના હકનું પૂરું અનાજ આપવામાં આવતું નથી. જ્યારે ગ્રામજનો આ અંગે દુકાનદાર શશીકાંતભાઈ પાસે જવાબ માંગવા જાય છે, ત્યારે તેઓ દાદાગીરી પર ઉતરી આવે છે અને યોગ્ય જવાબ આપવાના બદલે ગ્રાહકોને અપમાનિત કરે છે.

ભ્રષ્ટાચારના મૂળ ક્યાં?

ગામ લોકોમાં અત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, આટલા લાંબા સમયથી ચાલી રહેલા આ અનાજ કૌભાંડમાં શું કોઈ મોટા રાજકીય માથા કે વહીવટી અધિકારીઓની છત્રછાયા છે? સામાન્ય રીતે ઉચ્ચ સ્તરીય સાથ વગર ગરીબોનું અનાજ બારોબાર વહેંચી દેવાનું કામ શક્ય જ નથી. 8 મહિના સુધી તંત્ર આ બાબતથી અજાણ કેમ રહ્યું તે પણ એક મોટો સવાલ છે.

🧐આંદોલનની ચીમકી:

વારંવારની મૌખિક રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ રહેતા હવે રાણીયા ગામના લોકોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. ગ્રામજનો હવે મામલતદાર કચેરીએ જઈને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. લોકોની માંગ છે કે પુરવઠા વિભાગ તાત્કાલિક અસરથી આ દુકાનના સ્ટોકની તપાસ કરે અને દોષિત દુકાનદાર સામે કડક પગલાં ભરે.

🫵સરકારની યોજનાઓ કાગળ પર ઉજળી દેખાય છે, પણ રાણીયા ગામ જેવી વાસ્તવિકતા ગરીબો માટે આકરી છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ ‘મોટા માથાઓ’ સુધી પહોંચી શકશે કે પછી ગરીબોના પેટ પર પાટું મારવાનું ચાલુ જ રહેશે

Trending

Exit mobile version