- નારેશ્વરમાં દીપડાનો દેખાવ: પવિત્ર યાત્રાધામ નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડો આંટાફેરા મારતો નજરે પડ્યો.
- વીડિયો વાયરલ: નાળાની પાળી પર બેઠેલા દીપડાનો સ્થાનિક ગ્રામજન દ્વારા વીડિયો ઉતારી લેવાયો.
- ગ્રામજનોમાં ભય: મગરો બાદ હવે દીપડાની દહેશતના કારણે ખેડૂતો અને શ્રદ્ધાળુઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.
- વન વિભાગને અપીલ: જાનહાની ટાળવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વડોદરા/નારેશ્વર: વડોદરા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર મગરોના દર્શન તો સામાન્ય બન્યા છે, પરંતુ હવે પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડાની હાજરી સામે આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાઈ ગયો છે. કરજણ તાલુકાના નારેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સદનસીબે ટૂંકા ગાળામાં દીપડા દ્વારા કોઈના પર હુમલો કરવામાં આવ્યો નથી, પરંતુ તેની સતત ઉપસ્થિતિથી લોકોમાં ડરનો માહોલ છે.
🧐કેવી રીતે સામે આવી દીપડાની હાજરી?
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇરાત્રે પવિત્ર નારેશ્વર મંદિર નજીક અચાનક દીપડો નજરે પડ્યો હતો. રસ્તા પાસે આવેલા નાળાની પાળી ઉપર દીપડો થોડીવાર આરામથી બેઠેલો જોવા મળ્યો હતો અને ત્યારબાદ બાજુની ઝાડીઓમાં ઉતરી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો એક ગ્રામજને પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયો ઉતારી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
🗣️વન વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની માંગ:
આ અંગે નારેશ્વર મંદિરના યોગેશભાઈ વ્યાસે જણાવ્યું છે કે, દીપડાની અવરજવરથી ગ્રામજનો અને બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રાત્રીના સમયે ખાસ સતર્ક રહેવાની જરૂર છે. વન વિભાગ દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવે અને પિંજરા મૂકીને વત્વ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાની ટાળી શકાય.