Vadodara

રેલવે તંત્ર સામે મોરચો: વડોદરામાં પાર્સલ એજન્ટોનું આંદોલન; સુવિધાના અભાવે બહિષ્કાર

Published

on

  • રેલવેનું ‘પાર્સલ’ અટક્યું: અધિકારીની ઉદ્ધતાઈભરી વર્તણૂકથી કંટાળીને વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને એજન્ટો હડતાળ પર.
  • સુવિધાઓનો અભાવ: પાર્સલ ઓફિસમાંથી પંખા કઢાવી લેવાયા, બેસવાની કે પાર્કિંગની કોઈ સુવિધા નહીં; એજન્ટોમાં ભારે રોષ.
  • અધિકારી સામે આક્ષેપ: ચીફ પાર્સલ સુપરવાઇઝર નવલ કિશોરની દાદાગીરીનો આરોપ; ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયાની ફરિયાદ.
  • DRM-DCM ને રજૂઆત: જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી બહિષ્કાર યથાવત રહેશે; એસોસિએશનની ચીમકી.

વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસમાં આજે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રેલવે પાર્સલ અધિકારીઓની કથિત હેરાનગતિ અને ઉદ્ધતાઈભર્યા વર્તનના વિરોધમાં ‘વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને બુકિંગ એજન્ટ એસોસિએશન’ દ્વારા આજે કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. 20 થી વધુ કર્મચારીઓ અને એજન્ટો ઓફિસની બહાર હડતાળ પર ઉતરી જતા પાર્સલ બુકિંગ અને ડિલિવરીની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

શું છે મુખ્ય ફરિયાદો?

એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહ અને રૂપેશ હરગડેના જણાવ્યા અનુસાર, ચીફ પાર્સલ સુપરવાઇઝર નવલ કિશોર દ્વારા લીઝ હોલ્ડર્સ અને બુકિંગ એજન્ટો સાથે સતત ગેરવર્તણૂક કરવામાં આવે છે. એટલું જ નહીં, ઓફિસમાંથી પંખા કઢાવી લેવાયા છે અને પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અમદાવાદ જેવા સ્ટેશન પર કર્મચારીઓ માટે પૂરતી સુવિધાઓ છે, પરંતુ વડોદરામાં રેલવેને મોટી આવક કરાવી આપતા એજન્ટોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે.

🧐તંત્ર સામે મોરચો:

આ મામલે એસોસિએશન દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM) ને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનું વલણ સ્પષ્ટ છે કે, જ્યાં સુધી અધિકારીની દાદાગીરી બંધ નહીં થાય અને પૂરતી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી આ હડતાળ અને બહિષ્કાર ચાલુ રહેશે. હવે રેલવે તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.

🚂રેલવેને આવક કરી આપતા લીઝ હોલ્ડર્સ અને એજન્ટોની સુવિધા માટે તંત્ર કેમ આટલું ઉદાસીન છે? શું રેલવે તંત્ર એક અધિકારીને બચાવવા માટે આખી વ્યવસ્થા ખોરંભે પાડવા દેશે?

Trending

Exit mobile version