Dabhoi

ડભોઇમાં પશુ ભરેલી પીકઅપ વાન પલટી: 11 ગાયોને ક્રૂરતાપૂર્વક લઈ જતો ચાલક અકસ્માત સર્જી ફરાર

Published

on

  • પશુ ક્રૂરતા: 11 ગાયોને ખીચોખીચ ભરીને લઈ જતી વેળાએ અકસ્માત સર્જાયો.
  • 1 ગાયનું મોત: અકસ્માતની ગંભીરતાને કારણે એક ગાયે જીવ ગુમાવ્યો, 10 ગાયો બચી ગઈ.
  • ચાલક ફરાર: અકસ્માત સર્જીને પશુઓને રઝળતી મૂકીને ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો.
  • ત્વરિત બચાવ: કરનેટ ગામના જાગૃત ગ્રામજનો અને ડભોઇ પોલીસની સતર્કતાથી ગાયોને પાંજરાપોળ આશ્રયસ્થાને ખસેડવામાં આવી.

ડભોઇ: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ નજીક આજે વહેલી સવારે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતી એક પીકઅપ વાન પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 11 ગાયોને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહી હતી.

શું બની ઘટના?

આજે વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે એક પીકઅપ વાન પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કરનેટ ગામ પાસે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન એકાએક પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ વાહનચાલક પશુઓને મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

🚨ગ્રામજનો અને પોલીસની મદદે:

ઘટનાની જાણ કરનેટ ગામના જાગૃત સરપંચના પતિ અજયભાઈ ભાટીયાને થતા તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ વાહનમાં દબાઈ ગયેલી ગાયોને બહાર કાઢવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 11 માંથી એક ગાયનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 10 ગાયોને મુક્ત કરી સુરક્ષિત કરવામાં આવી હતી. ડભોઇ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પશુઓને પાંજરાપોળ આશ્રયસ્થાને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

👮પોલીસ તપાસ શરૂ:

હાલ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા, તે અંગેની ઊંડી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Trending

Exit mobile version