Dabhoi

ડભોઇ-ચાણોદ પંથકમાં કુદરતનો કહેર: મિની વાવાઝોડાએ મકાઈનો પાક જમીનદોસ્ત કર્યો, ખેડૂતો પાયમાલ

Published

on

  • ખેતીમાં નુકસાન: હજારો એકરમાં મકાઈનો પાક આડો પડી જવાથી હવે તેમાં દાણા ભરાવવાની કે ગુણવત્તા જળવાવાની શક્યતા નહિવત છે.
  • આર્થિક ફટકો: ખેડૂતોની મહિનાઓની મહેનત અને મૂડી પર પાણી ફરી વળ્યું છે.
  • જનજીવન પ્રભાવિત: માત્ર ખેતી જ નહીં, અનેક ગામોમાં ઘટાદાર વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ અને ચાણોદ પંથકમાં ગઈકાલે સાંજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. મિની વાવાઝોડાને કારણે તૈયાર થવા આવેલો મકાઈનો પાક ખેતરોમાં આડો પડી જતાં ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.

ડભોઇના ચાણોદ પંથકમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને અતિ તીવ્ર વેગ સાથે ફૂંકાયેલા પવનને કારણે કુદરતી હોનારત સર્જાઈ છે. ખાસ કરીને નવા-જૂના માંડવા, નંદેરીયા, ભીમપુરા, શણોર અને ફુલવાડી જેવા ગામોમાં પવનનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો હતો.

ખેતરોમાં લહેરાતો મકાઈનો પાક, જે હવે લણણીની તૈયારીમાં હતો, તે પવનના જોર સામે ટકી શક્યો નથી અને સદંતર જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને, મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને જે પાક ઉછેર્યો હતો, તે હવે માટીમાં મળી ગયો છે.

ખેડૂતોની માંગ:


અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કુદરતી આફતે તેમની કમર તોડી નાખી છે. હવે જગતનો તાત સરકાર પાસે આશા ભરી નજરે જોઈ રહ્યો છે કે વહેલી તકે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે.

Trending

Exit mobile version