મુદ્દામાલ કબ્જે:રૂા. 70,000/- ની કિંમતના સોનાના દાગીના અને ચાંદીની મૂર્તિઓ રીકવર કરાઈ.
વધુ તપાસ જારી:ઉદયપુરની ફાઇનાન્સ કંપનીમાં વેચેલા દાગીના પરત મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચાલતી ઝુંબેશ અંતર્ગત પોલીસે પાંચ મહિના જૂના ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, અધિક પોલીસ કમિશનર સુનીલ દેસાઈ, ડીસીપી માંજિતા વણઝારા અને એસીપી એ.વી. કાટકડના માર્ગદર્શન તેમજ પીઆઈ પી.યુ. પસ્તાગીયાની સીધી દોરવણી હેઠળ અટલાદરા પોલીસે આ કાર્યવાહી કરી છે.
શું હતી ઘટના?
અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના મકાનના પ્રથમ માળે આવેલા રૂમના કબાટમાં રાખેલ લોકરની ચાવી ચોરીને લોકરમાંથી સોનાની પાયલ, સોનાની બાંગડી, મોટું અને નાનું મંગળસૂત્ર, ચાંદીની નાની પાંચ મૂર્તિઓ તથા રોકડ રૂા. 25,000/- મળી કુલ મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. દેવેન્દ્ર વેજાભાઇને મળેલી બાતમીના આધારે અટલાદરા આર્ય એમ્પાયરથી સત્વ સહજ સોસાયટી તરફ જતા હાઇટેન્શન રોડ પર વોચ ગોઠવીને વોન્ટેડ આરોપી હીરાલાલ નવલજી કીર (રહે. કોટડા બડા ગામ, તા. ગઢી, જિ. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીના ઘરે રાજસ્થાનથી સોનાની બાંગડી, સોનાની પાયલ અને ચાંદીની મૂર્તિઓ મળી કુલ રૂા. 70,000/- નો મુદ્દામાલ રીકવર કર્યો છે. આ ઉપરાંત, ચોરી કરેલ સોનાનું મંગળસૂત્ર અને પાયલનો ટુકડો ઉદયપુર ખાતે મુથુટ ગોલ્ડ એક્ઝિમ પોઇન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં વેચાણ કરાયો હોવાનું બહાર આવતા તે મુદ્દામાલ કબજે કરવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.