વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. જે પોલીસ મથક લોકોની સુરક્ષા માટે છે, તે જ પોલીસ મથકની બહાર એક વ્યક્તિની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગોરવામાં પાનના ગલ્લા પર થયેલી મામૂલી તકરારમાં એક આધેડને જીવ ગુમાવવો પડ્યો છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વડોદરાના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે અમીજી ઘાંચી પોતાના પુત્ર સાથે ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ, તેમને ક્યાં ખબર હતી કે પોલીસના ઉંબરે જ કાળ તેમનો ભેટો કરી લેશે!
આરીફ ઘાંચી – મૃતક ના પુત્ર
👉મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે પોલીસ મથકની બહાર જ હતા, ત્યારે જ આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા. આરોપી સંદીપ વાઘેલાએ અમીજી ઘાંચીના માથામાં લાકડાના હાથા વડે સખત ફટકો માર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે અમીજી ઘાંચીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
🎥CCTV અને આરોપીઓની વિગત
ચોંકાવનારી વાત એ છે કે આ આખી ઘટના પોલીસ મથકની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ આ પ્રકારનો હુમલો થતા પોલીસની કાર્યપ્રણાલી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
👮આ મામલે પોલીસે:
મુખ્ય આરોપી સંદીપ વાઘેલા * અને તેના સાગરીત સોહીલ રાણા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
🧐અમીજી ઘાંચીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર આ પ્રકારના જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને પોલીસ કેટલી કડક સજા અપાવે છે.