Vadodara

ગરીબોના પેટ પર પાટું? વડોદરા પાલિકાની દબાણ શાખા ફરી વિવાદમાં!

Published

on

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે નિશાન બન્યા છે ભગવાનના દ્વારે ફૂલો વેચી ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓ. ખોડિયાર નગરના પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિર બહાર શુક્રવારે પાલિકાના કર્મચારીઓ અને નાના વેપારીઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું. આક્ષેપ છે કે રક્ષણ આપવાને બદલે પાલિકાના તંત્રએ વેપારીઓ સાથે અભદ્ર વર્તન કરી તેમની રોજીરોટી છીનવવાનો પ્રયાસ કર્યો છે.

વડોદરાનું ખોડિયાર નગર વિસ્તાર અને અહીં આવેલું આસ્થાનું કેન્દ્ર એટલે ખાટુ શ્યામ બાબાનું મંદિર. અહીં શુક્રવારે ભક્તિના માહોલ વચ્ચે અચાનક ચીસાચીસ અને રોકકળ મચી ગઈ. કારણ હતું – વડોદરા પાલિકાની દબાણ શાખાની કામગીરી.

🧐વેપારીનો આક્ષેપ

“સાહેબ, અમે અઠવાડિયામાં માંડ બે દિવસ અહીં બેસીએ છીએ. ₹500ની પાવતી પણ ફાડીએ છીએ, છતાં આજે અચાનક આવીને સામાન જપ્ત કરવા માંડ્યા. અમને માર માર્યો અને ગંદી ગાળો આપી. શું ગરીબ હોવું એ ગુનો છે?”

સ્થાનિકોમાં ભારે રોષ છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ સરકાર ‘આત્મનિર્ભર’ બનવાની વાતો કરે છે અને લોન આપે છે, તો બીજી તરફ પાલિકાનું તંત્ર દિવસના ₹200-300 કમાતા આ નાના માણસોને શાંતિથી ધંધો કરવા દેતું નથી.

👇મુખ્ય સવાલો જે તંત્ર સામે ઉભા થયા છે:

  • બેવડા ધોરણો: શહેરમાં મોટા શોરૂમ અને હોટલોએ કરેલા પાકા દબાણો સામે પાલિકાની આંખ કેમ મિચાઈ જાય છે?
  • અભદ્ર વર્તન: શું દબાણ હટાવવાના નામે નાના વેપારીઓ સાથે મારપીટ કે ગેરવર્તણૂક કરવાની સત્તા કર્મચારીઓને કોણે આપી?
  • પાવતીનું શું?: જો વેપારીઓ ₹500ની પાવતી ભરે છે, તો પછી તેમને હેરાન કેમ કરવામાં આવે છે?

આ ઘટનાએ પાલિકાની વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ભક્તો અને રહીશો પણ હવે આ ગરીબ વેપારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસ કરશે કે પછી ‘મોટા માથાઓ’ને છાવરીને ગરીબો પર તવાઈ ચાલુ જ રહેશે.

Trending

Exit mobile version