Vadodara

વડોદરાના ગોરવામાં પાણીનો કકળાટ: નેતાના ફોટા અને કમળના નિશાનને ગંદા પાણીનો ‘જળાભિષેક’

Published

on

વડોદરા શહેરના પશ્ચિમ-ઉત્તર ઝોનમાં આવેલા ગોરવા વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણી માટે રહીશોએ મોરચો માંડ્યો છે. છેલ્લા ઘણા સમયથી નળમાં આવતા દૂષિત અને દુર્ગંધવાળા પાણીથી કંટાળેલા રહીશોએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં ભેગા થયેલા લોકોએ શાસક પક્ષના નેતા અને ભાજપના ચૂંટણી ચિન્હ પર ગંદા પાણીનો અભિષેક કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ‘રામરાજ્ય’ નહીં પણ ‘ગંદકીનું રાજ્ય’ જોવા મળી રહ્યું છે. પંચવટી, શિવશક્તિ, જય અંબે અને ગણેશ સોસાયટી સહિતના વિસ્તારોમાં નળમાં પીવા લાયક પાણીને બદલે ગટરોનું દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના બહેરા કાને અથડાઈને ફરિયાદો પાછી આવતા આજે રહીશોનો ધીરજ ખૂટી હતી.

પૂર્વ કોર્પોરેટર વીરેન રામીની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ગોરવા ચાર રસ્તા ખાતે એકત્ર થયા હતા. લોકોના હાથમાં રહેલા પ્લે કાર્ડ પર સ્પષ્ટ લખ્યું હતું – ‘ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં’. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ પાલિકા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘હાય હાય’ ના નારાથી વિસ્તાર ગજવી મૂક્યો હતો.

વિરોધની સૌથી આશ્ચર્યજનક રીત ત્યારે જોવા મળી જ્યારે રસ્તા પર ખુરશીઓ મૂકી તેના પર ભાજપના નેતા અને ભાજપના પ્રતીક ‘કમળ’ના ફોટા રાખવામાં આવ્યા. રહીશોએ આ ફોટાઓ પર દૂષિત પાણી રેડીને ‘જળાભિષેક’ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાસકો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે અત્યારે જનતા ગંદું પાણી પીને બીમાર પડી રહી છે ત્યારે કોઈને પડી નથી.

🧐સ્થાનિક રહીશ

“અમે ટેક્સ ભરીએ છીએ તો અમને ચોખ્ખું પાણી કેમ નથી મળતું? કાળું અને ગંધાતું પાણી આવે છે, બાળકો બીમાર પડી રહ્યા છે. જો સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું.”

વડોદરામાં એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગોરવા જેવા વિકસિત વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ‘જળાભિષેક’ પછી પાલિકા તંત્ર જાગે છે કે પછી જનતાને હજુ પણ ગંદું પાણી પીવા મજબૂર રહેવું પડશે.

Trending

Exit mobile version