વડોદરા: વડોદરા શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોનો કહેર યથાવત છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના તરસાલી બાયપાસથી જાંબુવા બ્રિજ તરફના માર્ગ પર એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
❓શું હતી ઘટના?
તરસાલીની હરી દર્શન સોસાયટીમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ પંડ્યા તેમના પુત્ર સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. બાલાજી પેટ્રોલ પંપ નજીક પહોંચતા જાગૃતિબેનને અચાનક ગભરામણ થવા લાગી હતી, જેથી તેમના પુત્રએ સાવચેતીના ભાગરૂપે એક્ટિવા રોડની સાઈડમાં ઉભું રાખ્યું હતું. જાગૃતિબેન એક્ટિવા પરથી ઉતરીને હજુ તો સાઈડમાં ઉભા જ હતા, ત્યાં જ પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જાગૃતિબેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
🧐તંત્રની લાપરવાહી:
આ દુઃખદ ઘટના બાદ તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. મૃતક મહિલાના સ્વજનોએ આરોપ લગાવ્યો હતો કે, અકસ્માત બાદ વારંવાર જાણ કરવા છતાં દોઢ કલાક સુધી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ન હતી. વ્હાલસોયી માતાનો મૃતદેહ દોઢ કલાક સુધી રસ્તા પર જ પડ્યો રહેતા પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પરિવારે રસ્તા પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને માંડ-માંડ પોલીસે સમજાવટથી શાંત પાડી હતી.
🚨પોલીસ કાર્યવાહી:
મોડી રાત્રે એમ્બ્યુલન્સ આવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ કપૂરાઈ પોલીસે હિટ એન્ડ રન કરનાર અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
🫵એક તરફ અકસ્માતોનો ગ્રાફ વધી રહ્યો છે, તો બીજી તરફ આવી કટોકટીના સમયે તંત્રની આ પ્રકારની સુસ્તી અનેક સવાલો ઉભા કરે છે. નિર્દોષ જાગૃતિબેનનું મૃત્યુ પરિવાર માટે મોટી ખોટ છે, હવે જોવું રહ્યું કે પોલીસ આરોપીને ક્યારે ઝડપે છે.