વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ અને હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા વિરોધ પક્ષના નેતાઓને તેમના જ ઘરે ‘નજરકેદ’ જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
🧐પોલીસ અને કોર્પોરેટર વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા:
વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીના ઘરે સવારથી જ પાણીગેટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. આશિષ જોશીએ જ્યારે પોલીસને સત્તાવાર ઓર્ડર અંગે સવાલ કર્યા, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. મીડિયાના કેમેરા જોઈને એક પોલીસકર્મી નજીકના મંદિરના ટોયલેટમાં ઘૂસી ગયો હતો અને બહાર આવીને ‘મહાદેવના દર્શન’ કરવાનું બહાનું ધર્યું હતું. અન્ય એક કર્મી બૂટ પહેર્યા વગર જ ભાગતો નજરે પડ્યો હતો.
🤨પારુલ પટેલની સરકારને ચીમકી:
બીજી તરફ, પાટીદાર અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર પારુલ પટેલના ઘરે પણ પોલીસ તૈનાત કરી દેવાઈ છે. પારુલ પટેલે આક્ષેપ કર્યો છે કે સમાજ તરફથી કાર્યક્રમની જવાબદારી અને સત્તાવાર આમંત્રણ હોવા છતાં તેમની અટકાયત જેવી સ્થિતિ કેમ ઊભી કરાઈ? તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું કે, “હું પટેલની દીકરી છું, ગભરાવાની નથી.”
❓દુર્ઘટનાના ન્યાયનો પ્રશ્ન:
આશિષ જોશીએ રોડ શોના રૂટ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકાર હરણી લેક ઝોન પાસે રોડ શો કરી રહી છે, પરંતુ એ જ હરણીમાં જે બાળકોએ જીવ ગુમાવ્યા તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. વિપક્ષનો આરોપ છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે લોકશાહી ઢબે થતા વિરોધને પોલીસના જોરે દબાવી રહી છે.
🫵એક તરફ વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ છે અને બીજી તરફ વિપક્ષી નેતાઓ પર પોલીસનો ચોકીપહેરો. વડોદરામાં સર્જાયેલી આ રાજકીય ખેંચતાણ હવે કયું નવું સ્વરૂપ લેશે તે જોવું રહ્યું.