Vadodara

વડોદરા: એક તરફ પાણી માટે પોકાર, બીજી તરફ મકરપુરામાં લાખો લિટર પાણીનો વેડફાટ; 23મીએ હજારો ઘરોમાં ‘પાણી કાપ’

Published

on

  • વિરોધાભાસ: મકરપુરા રોડ પર લાઈન લીકેજથી નદી વહી, તો બીજી તરફ 23મીએ હજારો લોકો પાણી વિના તરસ્યા રહેશે.
  • જળબંબાકાર: મકરપુરા હનુમાનજી મંદિર પાસે લાઈન તૂટતા ભર ઉનાળે વરસાદી માહોલ જેવો નજારો.
  • કપુરાઈ ટાંકી: 600 મીમીની લાઈન જોડાણ માટે ૨૩મીએ સાંજનું પાણી બંધ, 50 હજાર લોકોને અસર.
  • ગાયત્રીનગર ટાંકી: ફ્લો મીટર ફિટિંગને કારણે ૨૩મીએ સાંજે ઓછા પ્રેશરથી પાણી મળશે.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં જળ વ્યવસ્થાપનની બેધારી તસ્વીર સામે આવી છે. એક બાજુ વહીવટી તંત્ર મેન્ટેનન્સના નામે શહેરીજનો પર પાણી કાપ ઝીંકી રહ્યું છે, તો બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે મકરપુરા રોડ પર લાખો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે.

🌊મકરપુરામાં જાણે નદી વહી:

વડોદરાના મકરપુરા રોડ પર આવેલા હનુમાનજી મંદિરના માર્ગ પર આજે પાણીની મુખ્ય લાઈનમાં ભયાનક લીકેજ સર્જાયું હતું. જોકે કેટલા ટાઈમ થી પાણી ટપકવા સમસ્યા તો હતી જે આજે ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અહીં રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોમાં રોષ છે કે એક તરફ તંત્ર પાણી બચાવવાની વાતો કરે છે અને બીજી તરફ આટલો મોટો બગાડ નજર સામે થઈ રહ્યો છે.

🚱23 માર્ચે કપુરાઈ અને ગાયત્રીનગરમાં પાણી કાપ:

આ પરિસ્થિતિ વચ્ચે પાલિકાના પાણી પુરવઠા શાખાએ જાહેરાત કરી છે કે 23મી માર્ચે શહેરના છેવાડે આવેલા કપુરાઈ અને ગાયત્રીનગર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે. કપુરાઈ ટાંકી ખાતે 600 મીમીની નવી ડિલેવરી લાઈન સાથે જોડાણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે સોમવાર, 23મીએ સાંજનું પાણી મળશે નહીં. આ નિર્ણયથી અંદાજે 50 હજાર લોકો પ્રભાવિત થશે.

એ જ રીતે, ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમીની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર ફિટિંગ કરવાનું હોવાથી, 23મીની સાંજે તમામ ઝોનમાં પાણી મોડું, ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. પાલિકા દ્વારા 24મીએ સવારે પણ પાણી સપ્લાયમાં વિલંબ થવાની શક્યતા દર્શાવી છે.

🙏પાલિકાની અપીલ:

કાર્યપાલક ઇજનેર દ્વારા આ વિસ્તારોના રહીશોને પાણીનો આગોતરો સંગ્રહ કરી લેવા સૂચના અપાઈ છે. જોકે, જનતામાં ચર્ચા છે કે જો મકરપુરા જેવા લાઈન લીકેજ તાત્કાલિક અટકાવવામાં આવે તો કદાચ ઉનાળામાં પાણીની આવી અછત સર્જાય જ નહીં.

🧐હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર મકરપુરાનું લીકેજ ક્યારે બંધ કરે છે અને 23મીની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે

Trending

Exit mobile version