Vadodara

વડોદરા: “અમારા વિસ્તારમાં મદ્રેસા નહીં ચાલે!” ઉંડેરાના ૧૨૦૦ પરિવારોનો પોલીસ કમિશનરને ઘેરાવો

Published

on

વડોદરાના છેવાડે આવેલા ઉંડેરા વિસ્તારમાં જલારામ નગર સોસાયટીમાં અતિક્રમણ અને ધાર્મિક બાંધકામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ૧૨૦૦ જેટલા સનાતની પરિવારો વસવાટ કરે છે તેવા વિસ્તારમાં મદ્રેસા બનાવવાની હિલચાલ થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

શું છે સમગ્ર વિવાદ?

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલી જલારામ નગર સોસાયટીમાં છેલ્લા ૩૫ વર્ષથી આશરે ૧૨૦૦ હિન્દુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તાજેતરમાં બાજવા વિસ્તારમાંથી કેટલાક લઘુમતી કોમના લોકો અહીંની ખુલ્લી જમીન પર સાફ-સફાઈ કરવા આવ્યા હતા. રહીશોએ જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ જગ્યા પર ‘મદ્રેસા’ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને રોષ ફેલાયો હતો.

♻️ભૂમિ અતિક્રમણના આક્ષેપો:

રહીશોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં રહે છે, વેરા ભરે છે અને લાઈટ બિલ પણ ચૂકવે છે. જોકે, તેમની પાસે રહેઠાણના પુરાવા તરીકે માત્ર સ્ટેમ્પ પેપર જ છે. સીટી સર્વે ઓફિસમાં તપાસ કરતા આ જમીન મૂળ સોમાભાઈ નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે ભૂમિ અતિક્રમણ દ્વારા આ વિસ્તારની વસ્તીવિષયક સ્થિતિ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સનાતની સંઘર્ષ સમિતિ મેદાને:

આ મુદ્દે ‘રિફાઇનરી રોડ સનાતની સંઘર્ષ સમિતિ’ દ્વારા સ્થાનિકોને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સમિતિનું કહેવું છે કે શહેરમાં ભૂમિ અતિક્રમણના બનાવો વધી રહ્યા છે, જેના કારણે સનાતની સમુદાય અસુરક્ષિતતા અનુભવી રહ્યો છે. જો આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાની શક્યતા છે.

👇સ્થાનિકોની માંગણીઓ

  • જમીનની માલિકી અંગે તાત્કાલિક ખરાઈ કરવામાં આવે.
  • રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક અતિક્રમણ અટકાવવામાં આવે.
  • રહીશોને પૂરતી સુરક્ષા અને તેમના હક્કોનું રક્ષણ મળે.

🧐વડોદરામાં અગાઉ પણ અશાંત ધારા અને જમીન વિવાદના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ઉંડેરાનો આ વિવાદ નવું સ્વરૂપ ધારણ કરે તે પહેલા તંત્ર કેવી કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે.

Trending

Exit mobile version