Vadodara

વડોદરાના વકીલો મેદાનમાં: હાઈકોર્ટના ‘ફોન્ટ’ પરિપત્ર સામે બાયો ચઢાવી,આજથી બે દિવસ કામકાજ થી અલિપ્ત રહેવાનો નિર્ણય!

Published

on

વડોદરાના ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં આજે વકીલોનો રોષ જોવા મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે વડોદરાના વકીલોએ આજથી બે દિવસ એટલે કે ૨ જાન્યુઆરી અને ૩ જાન્યુઆરી સુધી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો અને હડતાળ પર જવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ કે. ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વિવાદનું મુખ્ય કારણ ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર નંબર સી-2002/2025 છે. આ પરિપત્ર મુજબ, હવેથી કોર્ટમાં તમામ કેસો માટે ચોક્કસ ફોન્ટ્સ જેવા કે લોહીત ગુજરાતી, નોટો સેરીફ અને નોટો સન્સ ગુજરાતી (સાઈઝ-12) ફરજિયાત કરવામાં આવ્યા છે.

વકીલ મંડળનો આક્ષેપ છે કે, વર્ષોથી સ્થાનિક સ્તરે શ્રુતિ, સુલેખ અને ગુગલ ઈન્ડિક જેવા ફોન્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. હાઈકોર્ટે સૂચવેલા નવા ફોન્ટ્સ હાલમાં સ્થાનિક બારમાં કાર્યરત નથી. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી આ નિયમ લાગુ થતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફાઈલિંગ સ્વીકારવાનું બંધ કરી દીધું છે, જેના કારણે અનેક વકીલો અને અસીલો મુશ્કેલીમાં મુકાયા છે.

🧐 વકીલ મંડળની માંગણીઓ

વકીલ મંડળે પોતાની માંગણીઓ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે:

  • જૂના ફોન્ટ્સમાં કરવામાં આવેલું ફાઈલિંગ હાલ સ્વીકારવામાં આવે.
  • નવા ફોન્ટ્સ લાગુ કરતા પહેલા વકીલોને ટ્રેનિંગ આપવામાં આવે.
  • આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો સમય આપવામાં આવે.

વડોદરા બાર એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કામકાજથી અલિપ્ત રહેવાનો સમય વધારી શકાય છે. વકીલોની આ હડતાળને કારણે કોર્ટમાં હજારો કેસોની સુનાવણી ખોરંભે પડે તેવી શક્યતા છે.

Trending

Exit mobile version