વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન ટાણે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ભારે અવ્યવસ્થા સર્જાતા ભક્તોની લાગણી દુભાઇ હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઇને ગણેશોત્સવને ધ્યાને રાખીને તંત્ર હવે કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરીમાં જોતરાયું છે. આજે પાલિકાના એન્જિનીયર દ્વારા માંજલપુર ખાતેના કૃત્રિમ તળાવની મુલાકાત લેવામાં આવી છે. અને જરૂરી દિશાનિર્દેશો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાલિકાની આબરૂનું મોટાપાયે ધોવાણ થયું
વડોદરામાં દશામાંની મૂર્તિઓના વિસર્જન માટેની તૈયારીઓમાં તંત્ર ઉણું ઉતર્યું હતું. કૃત્રિમ તળાવોની કેપેસીટી કરતા વધારે મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આવતા માન-સન્માન પૂર્વક તે થઇ શક્યું ન્હતું. માંજલપુરના કૃત્રિમ તળાવમાં તો સ્થિતી એવી સર્જાઇ કે, કેટલાક માંઇ ભક્તો દ્વારા મૂર્તિઓ અન્યત્રે વિસર્જન કરવા માટે લઇ જવામાં આવી હતી. આ ઘટનાને લઇને વડોદરા પાલિકાની આબરૂનું મોટાપાયે ધોવાણ થયું હતું. આ ઘટના પરથી બોધપાઠ લઇને ગણોશોત્સવને ધ્યાને રાખીને હવે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના એન્જિનીયર માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા છે. આ જોતા દશામાંની મૂર્તિઓના વિસર્જન ટાણે સર્જાયેલી અવ્યવસ્થાનું પુનરાવર્તન ગણેશ વિસર્જન ટાણે નહી થાય તેવુ હાલ લાગી રહ્યું છે.
તળાવની આજુબાજુ રોડ, રેમ્પ, પ્રવેશ માટે પણ કામ કરાશે
પાલિકાના એન્જિનીયર અલ્પેશ મજમુદાર મીડિયાને જણાવે છે કે, (દશામાંની મૂર્તિઓના વિસર્જન) તે સમયે મારી તબિયત બરાબર ન્હતી. એટલે હું ત્યારે હાજર ન્હતો. મેં અનુપભાઇ થકી માહિતી મેળવી છે. 40 મીટર X 40 મીટરથી તળાવ મોટું કરવાનું હાલ વિચાર્યું છે. કમિશનર અને ચેરમેનની પૂર્વ મંજૂરી સાથે જ કામ કરીએ છીએ. કૃત્રિમ તળાવની આજુબાજુ રોડ, રેમ્પ, પ્રવેશ માટે પણ કામ કરવામાં આવશે. ટ્રાફીક નિયમન અને પોલીસ પોઇન્ટને લઇને પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે. આ વખતે પાણીનું તળાવ ભરવા માટે બોર થકી પાણી ભરવામાં આવશે. અને અગાઉ ટેન્કર થકી પાણી ભર્યું હતું. લોકોને કોઇ પણ પ્રકારની પરેશાની ન થાય તે રીતે પાલિકાના તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.