Vadodara

VCના બંગલે દરવાજાનો મિજાગરો તૂટતા રજૂઆત કરવા ગયેલા MSUના 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ

Published

on

વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે યુનિ.ના વિજીલન્સ ઓફિસર સુદર્શન વાળા ફરિયાદી બન્યા છે. વીસીના નિવાસ સ્થાને રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા ફાઇબરના કવર અને દરવાજાના મિજાગરાને નુકશાન પહોંચાડી રૂ. 2 હજારનું નુકશાન પહોંચાડ્યાનો ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે. વડોદરામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર ફરિયાદની સંભવત: આ પહેલી ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

સયાજીગંજ પોલીસ મથકમાં MSU ના વિજીલન્સ ઓફીસર સુદર્શન વાળાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 28 જુનના રોજ MSU ના વિદ્યાર્થીઓ હોસ્ટેલ મેસ અંગેની રજુઆત કરવા માટે MSU ના મેઈન બિલ્ડીંગ પર આવ્યા હતા. અને ચીફ વોર્ડનને માંગણીઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને બાદમાં ચીફ વોર્ડન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટેની સમજ આપી હતી.

ત્યાર બાદ આશરે 200 જેટલા વિદ્યાર્થીઓના ટોળા ભેગા થઇને કમાટીબાગ સામે આવેલા MSU – VC ના ઘરે જઇને સિક્યુરીટી સ્ટાફ સાથે ઘર્ષણ કરી કમ્પાઉન્ડ વોલ કુદીને અનાધિકૃત પ્રવેશ મેળવ્યો હતો. અને બાદમાં મુખ્ય દરવાજા પર લગાડવામાં આવેલા ફાઇબર કવરની તોડફોડ કરી દરવાજો ખોલવાના મિજાગરાને નુકશાન પહોંચાડ્યું હતું. નુકશાનની કિંમત ફરિયાદમાં રૂ. 2 હજાર આંકવામાં આવી છે. બાદમાં તેઓ વીસીના નિવાસસ્થાને ધસી જઇ તેમના પરિવારમાં ભય ઉભો કર્યો હતો. તે વખતે વિજીલન્સ – સિક્યોરીટીના માણસો તથા પોલીસ દ્વારા સમજાવટ કરી વધુ નુકશાન કરતા અટકાવ્યા હતા. આ ટોળું ઉગ્ર બની, અમુક વિદ્યાર્થીઓ નીચે બેસીને રામધુન બોલાવવા લાગ્યા હતા. જેથી MSU ના રજીસ્ટ્રાર તથા ચીફ વોર્ડન અને પીઆરઓએ એવી વાતચીત કરી ફી જુના નિયમ મુજબ જ ચાલુ રહેશે, તેવી જાહેરાત કરતા ટોળું માની ગયું હતું. અને વીસીના ઘરમાંથી બહાર નિકળી ગયું હતું.

આખરે આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં MSU ના 200 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના ભૂતકાળમાં MSU ના આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની આ સંભવિત પ્રથમ ઘટના હોઇ શકે છે. તો બીજી તરફ આપખુદ વર્તન કરવા ટેવાયેલા વીસી દ્વારા વિદ્યાર્થીઓ રજુઆત કરવા આવે ત્યારે પોલીસ બોલાવી લેવામાં આવતી હોય છે, અને મામલે વધુ બિચકે તો ફરિયાદ કરવાની અવાર નવાર ચીમકી આપવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version