Vadodara

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Published

on

  • ખૂની ખેલ: અંકોડિયા-ઊંડેરા સીમમાંથી ચાદરમાં લપેટેલી હાલતમાં મળી મેંદી આર્ટિસ્ટ દિવ્યા પરમારની લાશ.
  • પોલીસની લાપરવાહી? “જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો દીકરી બચી જાત”; મુજમહુડાના પરિવારનો પોલીસ પર ગંભીર આક્ષેપ.
  • પ્રેમ પ્રકરણમાં હત્યા? ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળીને કરાઈ નિર્મમ હત્યા; પ્રેમ પ્રકરણની આશંકાએ તપાસ તેજ.
  • ગાયબ થયા બાદ મોત: રવિવારે મેંદી મૂકવા જવાનું કહી નીકળેલી દિવ્યા લોહીલુહાણ હાલતમાં મળી; સોશિયલ મીડિયા દ્વારા પરિવારે કરી ઓળખ.

વડોદરા: વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અંકોડિયા ગામની સીમમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ તપાસમાં હવે આ મૃતક યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતી શહેરના મુજમહુડા વિસ્તારની રહીશ ૨૨ વર્ષીય દિવ્યા નાનજીભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. દિવ્યા વ્યવસાયે પ્રોફેશનલ મેંદી આર્ટિસ્ટ હતી.

🗣️પરિવારનો આક્રોશ:

દિવ્યાના પરિવારે પોલીસની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારે જણાવ્યું કે, રવિવારે દિવ્યા મેંદી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા તેમણે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે પોલીસે જો તે જ સમયે ગંભીરતા દાખવી હોત, તો કદાચ દિવ્યાનો જીવ બચી શક્યો હોત. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મૃતદેહની તસવીરો જોઈને પરિવારજનો ગોત્રી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દીકરીની ઓળખ કરી હતી.

🧐હત્યાની ભયાનકતા:

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દિવ્યાનો મૃતદેહ ચાદરમાં લપેટેલી હાલતમાં સીમમાંથી મળી આવ્યો હતો. તેના ગળાના ભાગે ઈલેક્ટ્રિક વાયર અને દુપટ્ટો વીંટાળેલો હતો, જે દર્શાવે છે કે તેની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાઈ રહ્યું છે.

🚨તપાસના ચક્રો ગતિમાન:

દિવ્યા રવિવારે કોને મળવા ગઈ હતી? તેનો મોબાઈલ ફોન અત્યારે ક્યાં છે? અને રવિવાર સાંજથી સોમવાર સુધી તે કોની સાથે હતી? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

🫵એક ઉભરતી મેંદી આર્ટિસ્ટનું આ પ્રકારે કરૂણ મોત થતા મુજમહુડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ‘હત્યાકાંડ’ના ગુનેગારો સુધી ક્યારે પહોંચે છે.

Trending

Exit mobile version