- લોન લેનાર અને જામીનદારોને જગાડવા માટે અમે ઢોલત્રાસાનો ઉપયોગ કરી રહ્યા છે. આ કરવા પાછળનું કારણ તેમને જગાડવાનું છે
વડોદરા ની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી બેંક દ્વારા લોન ડિફોલ્ટરને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ લગ્ન સહિતના શુભ પ્રસંગે ઢોલત્રાંસા વાગી રહ્યા છે. ત્યારે આ ઢોલ ડિફોલ્ટરના તથા ગેરંટરના ઘર બહાર ઢબુકતા આસપાસના લોકોમાં ભારે ઉત્સુકતા વ્યાપી જવા પામી છે. આ પ્રયોગના અંતે ડિફોલ્ટરો જાગૃત થઇને લોન ભરપાઇ કરતા થાય તો જ પ્રયત્નોનું ફળ મળશે.
વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા લોન રીકવરી માટેના નવતર પ્રયોગના ભાગરૂપે ડિફોલ્ટરના ઘર બહાર ઢોલ-નગારા વગાડીને તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસ અંતર્ગત જે તે સંબંધિત વ્યક્તિના ઘર-દુકાન પાસે જઇને ઢોલ વગાડીને તેમને નિયમીત લોનના હપ્તા ભરપાઇ કરવા માટે જણાવવામાં આવે છે.
વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી બેંકના મેનેજર હાર્દિક દુમાડે મીડિયાને જણાવ્યું કે, હાલમાં અમે શહેરના વિવિધ વિસ્તારોમાં લોન રિકવરી માટે નીકળ્યા છીએ. લોકો લોન લઇને ઘોર નિંદ્રામાં સુઇ જાય છે. લોન લેનાર અને જામીનદારોને જગાડવા માટે અમે ઢોલત્રાસાનો ઉપયોગ કરી રહ્યા છે. આ કરવા પાછળનું કારણ તેમને જગાડવાનું છે, અને તેઓ નિયમીત રીતે લોનના હપ્તા ભરપાઇ કરે તેમ છે.
વધુમાં જણાવ્યું કે, આ સાથે હું અન્યને કહેવા માંગું છું કે, જે કોઇના લોનના હપ્તા બાકી છે, તેઓ નિયમીત થઇ જાય તેવું અમે ઇચ્છીએ છીએ. સામાન્ય રીતે 90 દિવસનો સમયગાળો આપવામાં આવે છે, ત્રણ હપ્તા ભરપાઇ ના થઇ શકે, ત્યાર બાદ ગ્રાહકોને નોટીસ પાઠવવામાં આવે છે. બાદમાં અમે તેમના ચેક નાંખીએ છીએ. અને અંતે કોર્ટમાં મેટર થાય છે. આ દરમિયાન અમે રીકવરી પણ કરી રહ્યા છીએ અને તેમને જગાડી રહ્યા છીએ.