6 થી 7 ફૂટ ઊંડો ભુવો:વૃંદાવન ચાર રસ્તા-કરોડીયા રોડ પર દ્વારકેશ સોસાયટી પાસે મુખ્ય માર્ગ બેસી જતા મોટો ભુવો પડ્યો.
સ્થાનિકોની સતર્કતા:અકસ્માત ન સર્જાય તે માટે રહીશોએ ભુવા પાસે વૃક્ષની ડાળીઓ મૂકીને બેરિકેડ જેવી વ્યવસ્થા કરી.
નાળિયેર વધેરી અનોખો વિરોધ:સામાજિક કાર્યકર શબ્બીર ચૌહાણે ભુવા પાસે પૂજન કરીને તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો.
ભ્રષ્ટ કામગીરી સામે સવાલો:હલકી ગુણવત્તાના રસ્તાઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા વ્યસ્ત વૃંદાવન ચાર રસ્તા-કરોડીયા માર્ગ પર દ્વારકેશ સોસાયટી પાસે શુક્રવારે સવારે અચાનક મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. માર્ગની વચ્ચે અંદાજે 6 થી 7 ફૂટ જેટલો ઊંડો ભુવો પડી જતા આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ હતી.
🧐સ્થાનિકોની સમજદારીથી ટળ્યો અકસ્માત:
મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભુવો પડ્યો હોવા છતાં સમયસૂચકતા વાપરીને સ્થાનિક રહીશોએ મોટી દુર્ઘટના ટાળી હતી. ભુવામાં રાત્રે કે દિવસે અજાણતાં કોઈ વાહનચાલક કે રાહદારી પટકાય નહીં, તે માટે સ્થાનિકોએ જાતે જ સાવચેતીના પગલાં રૂપે ભુવાની અંદર વૃક્ષની ઊભી ડાળીઓ મૂકીને આડશ ઊભી કરી દીધી હતી, જેથી વાહનચાલકો દૂરથી જ સાવચેત થઈ શકે.
🗣️સામાજિક કાર્યકરનો અનોખો વિરોધ:
માર્ગો પર વારંવાર સર્જાતી આ પ્રકારની જોખમી સમસ્યા અને તંત્રની ઉદાસીનતા સામે સામાજિક કાર્યકર શબ્બીર ચૌહાણે અત્યંત અનોખી અને કટાક્ષભરી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખુલ્લા માર્ગે પડેલા આ ભુવા પાસે પહોંચીને નાળિયેર વધેર્યું હતું અને અગરબત્તી પ્રગટાવીને પૂજન કર્યું હતું.
શબ્બીર ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્રને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને રસ્તાઓની ગુણવત્તા બાબતે ગંભીરતાથી કામગીરી કરવામાં આવે તે માટે તેમણે આ પૂજન કરી પ્રાર્થના કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ગોની હલકી ગુણવત્તાને કારણે જ શહેરમાં વારંવાર ભુવા પડી રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ બાદ પણ જવાબદાર અધિકારીઓ, કાઉન્સિલરો અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે જ નાગરિકોને વારંવાર હાલાકી ભોગવવી પડે છે.