- અધિકારીનું કહેવું છે કે, મૃતકના પરિજનોને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ વળતર મળશે. તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા સૂચન કરાયું છે
- વડોદરાના કમાટીબાગમાં થોડાક દિવસો પહેલા અકસ્માતની ઘટના સામે આવી
- જંબુસરના પરિવારે જોય ટ્રેનની અડફેટે પોતાની લાડલી ગુમાવી દીધી
- ઘટના બાદ પોલીસ સહિત વિવિધ વિભાગની ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ
વડોદરા ના કમાટીબાગ માં ચાલતી વિખ્યાત જોય ટ્રેનની અડફેટે જંબુસરના પઠાણ પરિવારની લાડલી ખાતીજા આવી ગઇ હતી. આ ઘટનામાં તેને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. હાલ પોલીસ તથા અન્ય વિભાગની જોઇન્ટ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું. જેને કારણે જોય ટ્રેનના સંચાલકોની અતિગંભીર બેદરકારી સામે આવી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ચલાવવા માટે કોઇ લાયસન્સની જરૂરત હોતી નથી, ચાલકને જોય ટ્રેન ચલાવવાની ટ્રેઇનીંગ આપવામાં આવે છે, ત્યાર બાદ તે ચલાવી શકે છે. આ ચાલક ત્રણ વર્ષથી ટ્રેન ચલાવતો હતો.
વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની એન્જિનના પાછળના ભાગે બાળકી આવી જતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થવા પામી છે. આ ઘટના સ્થળ પાસે સીસીટીવી નહીં હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ મામલે રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ વિભાગની ટીમો તપાસમાં જોડાઇ છે. પાલિકાના અધિકારીનું કહેવું છે કે, મૃતકના પરિજનોને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ વળતર મળશે. તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
પાલિકાના અધિકારી મંગેશ જયસ્વાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 10, મે ના રોજ કમાટીબાગના જોય ટ્રેનની અડફેટે બાળકીના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાળકીનું મૃત્યું થયું હતું. દિકરી એકદમ ટ્રેન તરફ દોડીને જતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારની નવા આદેશ અનુસાર કમિટીની રચના કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોય ટ્રેનના સંચાલકોને ત્રણ મહિના પહેલા જ લાયસન્સ આપવામાં આવ્યું છે. તેમના દ્વારા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર લેવામાં આવ્યું છે. ઇન્શ્યોરન્સ માટેની કાર્યવાહી ચાલુ છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવાથી મૃતકના પરિજનોને વળતર મળશે.