વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક નાવડી પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકો નદી પાર કરવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે એક નાવડી પલટી ગઈ હતી. સદનસીબે કિનારા નજીક અકસ્માત થયો હોય તમામ લોકોને ઉગારી લેવાયા હતા.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર અને ગંભીરા વચ્ચે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025ના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં પડી ગયા હતા અને 22 લોકોના મોત થયા હતા જેના કારણે આ વિસ્તારમાં અવરજવર માટે બ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
આ બ્રિજ તૂટ્યા બાદ આણંદ અને વડોદરા વચ્ચેના લોકોને નદી પાર કરવા માટે લાંબો ચક્કર (લગભગ 50-60 કિમી) કાપવો પડતો હતો. આ સમસ્યાને ટાળવા માટે સ્થાનિક પ્રાઇવેટ નાવડી ચાલકોએ ગંભીરાથી મુજપુર તરફ મુસાફરોને નાવડી દ્વારા પાર કરાવવાનું શરૂ કર્યું હતું. આ એક અસ્થાયી અને જોખમી વ્યવસ્થા હતી, કારણ કે બ્રિજ તૂટ્યા બાદ નદીમાં પાણીનો પ્રવાહ (વહેણ) ખૂબ વધારે હતો.
એક પ્રાઇવેટ નાવડીમાં પાંચથી વધુ મુસાફરો બેઠા હતા. નાવડી ગંભીરાથી મુજપુર તરફ જઈ રહી હતી. નદીમાં પાણીનું વહેણ અને પ્રવાહ ખૂબ તીવ્ર હોવાના કારણે નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના દરમિયાન નાવડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.સ્થાનિક લોકો અને નજીકના લોકોની તાત્કાલિક મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી, નદીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ બનાવ દર્શાવે છે કે બ્રિજ તૂટ્યા બાદની સ્થિતિમાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર થયા છે અને પ્રાઇવેટ નાવડીઓનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. લોકોને રોજિંદા જીવન માટે પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.