વડોદરામાં વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલ્વે વેગનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. ઘટના સ્થળેથી ભડતું થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબુ મેળવી રેલવે વેગ્નને વડોદરાથી રવાના કરી દેવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પંડ્યા બ્રિજ થી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતા વડીવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં હાઈ ટેન્શન લાઇન પાવર સપ્લાય બંધ કરીને ફાયર વિભાગની ટીમે કામગિરી શરુ કરી ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવ્યો હતો. આ દરમિયાન ફાયરના જવાનોને સ્થળે થી અજાણ્યા શખ્સનો મૃતદેહ ભડતું થયેલી હાલતમાં મળી આવતા મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
કોઈ અજાણ્યો વ્યક્તિ રેલવે વેગન પર ચડ્યો હશે અને તે સમયે હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેનું સળગી જવાથી મોત થયું હોવાનું અનુમાન છે. જોકે, આગ રેલવે વેગન પર હતી તેનું કારણ હજી અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. GRP અને RPF એ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી વેગ્નને વડોદરા થી રવાના કરી દેતા આશ્ચર્ય સર્જાયું.