તબીબ દર્દીનો જીવ બચાવતા હોવાથી તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જોકે તબીબ ક્યારે હેવાન બનશે તેવું ક્યારેય કોઇએ વિચાર્યું નહીં હોય, આવી જ એક ઘટના વડોદરા શહેરમાં બનવા પામી છે.
પીડિત મહિલા તબીબે સયાજી હોસ્પિટલના સિનિયર ડોકટર સામે બળાત્કારની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલને બદનામ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજી હોસ્પિટલના 54 વર્ષીય સિનિયર તબીબ ચિરાગ બારોટ પરિણીત છે, તેઓ લાંબા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે. આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેકચર પણ આપે છે.
જ્યારે વર્ષ 2008માં તેઓ એક કાર્યક્રમ દરમિયાન પીડિત મહિલા તબીબના સંપર્કમાં આવતા બન્નેએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ફોન પર એક બીજા સાથે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે ધીમે ધીમે નિકટતા વધી હતી. ત્યારબાદ વચ્ચે શારીરીક સંબંધો પણ બંધાયા હતા. પીડિત મહિલા તબીબના વર્ષ 2010માં તેમના પતિ સાથે છુટ્ટાછેડા થયા હતા.
જ્યારે છુટ્ટાછેડા થયા ડો. ચિરાગ બારોટ અને પીડિતા વચ્ચે નિકટતા વધી હતી. તેઓ વારંવાર મળતા અને ડો. ચિરાગ બારોટ પોતે પરિણિત હોવા છતા પોતાની પત્નીને છુટ્ટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કરતા હતા. સમય વિતતો ગયો પરંતુ પીડિતાને કરેલા વાયદા ડોકટરે પૂર્ણ ન કર્યા અને અન્ય કોઇની સાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતો હતો. વર્ષ 2008થી ડો. ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરીક સંબંધ બાંધતો રહ્યો હતો.
એવામાં ડો. ચિરાગ બારોટના શારીરીક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ સામે દુષકર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.