ઓમ પ્રકાશ રાજભરે આ કૌભાંડ પાછળ નેતાઓની મિલીભગત જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તર પર ચૂંટણી જીતવા માટે નેતા આસપાસના વિસ્તારોમાંથી પોતાના અંગત લોકોના નામ પોતાના વિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરી દે છે
- ચૂંટણી પહેલાં જ બનાવટી મતદારોની મોટી પોલ ખુલી છે.
- જાણો નેતાઓની મિલીભગત જવાબદાર કોણ
- તાજેતર માં જ કોંગ્રેસ તરફથી વોટ ચોરનો આરોપ સામે આવ્યો હતો
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ બનાવટી મતદારોની મોટી પોલ ખુલી છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે યુપીની મતદાર યાદીનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત એક સરવે કરાવ્યો હતો. જેમાં સવા કરોડ મતદારોની માહિતી આપવામાં આવી છે, જે ગ્રામ પંચાયત ઉપરાંત નગર નિગમમાં પણ મતદાર છે. અર્થાત એક જ વ્યક્તિ બે સ્થળે મતદાન કરી રહ્યો છે. આ અંગે પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપી હતી.
ઓમ પ્રકાશ રાજભરેએ કહ્યું કે, પ્રદેશમાં સવા કરોડ બનાવટી મતદારોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચૂંટણી પંચે તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓને આ સરવે રિપોર્ટની બીએલઓ પાસે તપાસ કરાવવા આદેશ આપ્યો છે. જે મતદારોના નામ બંને સ્થળે છે, તેની બીએલઓ દ્વારા તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે બે સ્થળ પર મતદારોનું નામ મળી આવ્યું તો એક સ્થળેથી નામ કમી કરવામાં આવશે.
બિહારમાં મતદારોની યાદીના ગહન નિરીક્ષણ મામલે હોબાળો સર્જાયો હતો. ચૂંટણી પંચ દ્વારા મતદારોની યાદીના નિરીક્ષણ માટે હાથ ધરાયેલા SIR મિશનનો વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મતદારોની યાદીના પુરાવા સાથે ચૂંટણી પંચ અને એનડીએ પર વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. વોટ ચોરીનો વિરોધ કરતાં રાહુલ ગાંધીએ 14 દિવસની વોટ અધિકાર યાત્રા યોજી હતી. બીજી તરફત બિહારમાં SIR હેઠળ ચૂંટણી પંચે 65 લાખ મતદારોના નામ દૂર કર્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને રદ કરવામાં આવેલા નામોની યાદી કારણ સાથે જાહેર કરવા આદેશ આપ્યો હતો.