વૈશ્વિક તેલ સંકટ:ઈરાનની ચેતવણી – “અમારી પરવાનગી વગર કોઈ પસાર નહીં થાય”; ૨૨ એપ્રિલ સુધીમાં ડીલ નહીં થાય તો તેલના ભાવમાં તોતિંગ ઉછાળાની શક્યતા.
દિલ્હી/હોર્મુઝ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે સીધી ભારતીય હિતો અને જહાજો સુધી પહોંચી ગઈ છે. હોર્મુઝની ખાડી, જે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ માનવામાં આવે છે, ત્યાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કરતા ખળભળાટ મચી ગયો છે.
📌હુમલાની વિગત:
યુકેની સેનાના અહેવાલ મુજબ, અમેરિકાની નાકાબંધીના વિરોધમાં ઈરાની સૈનિકોએ સંયમ ગુમાવી આ હુમલો કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હુમલાનો ભોગ બનેલા જહાજો પૈકી એક ‘વેરી લાર્જ ક્રૂડ કેરિયર’ (VLCC) હતું, જે 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને જઈ રહ્યું હતું. જહાજ માલિકોના જણાવ્યા અનુસાર, તેમને અગાઉ જ રેડિયો ચેતવણી મળી હતી કે પરવાનગી વગર પ્રવેશશો તો કાર્યવાહી થશે.
આ ગંભીર ઘટના બાદ ભારત સરકાર હરકતમાં આવી છે. વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવીને તાત્કાલિક હાજર થવા જણાવ્યું હતું. આ હુમલો ભારતીય સુરક્ષા અને વેપાર પર સીધો પ્રહાર હોવાથી ભારત સરકાર ટૂંક સમયમાં મોટું નિવેદન જાહેર કરી શકે છે.
નિષ્ણાતોના મતે, ઈરાની રાજકીય નેતૃત્વ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) વચ્ચેના સંકલનના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઈરાની બંદરો પરની નાકાબંધી યથાવત રાખતા ઈરાની સેના ભડકી ઉઠી છે. જો ૨૨ એપ્રિલ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી નહીં સધાય, તો તેલના ભાવ ફરીથી આસમાને પહોંચી શકે છે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડશે.
🫵હોર્મુઝની ખાડી દુનિયાનો 20 ટકા તેલ પુરવઠો સાચવે છે, અને ત્યાંની અસ્થિરતા વૈશ્વિક યુદ્ધનું કારણ બની શકે છે. ભારત માટે પોતાના જહાજોની સુરક્ષા અને તેલ પુરવઠાની ખાતરી કરવી એ હાલમાં સૌથી મોટો પડકાર છે.