આમને-સામને:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા વચ્ચે તીખી દલીલો.
વિપક્ષનો આક્ષેપ:“જનતા કલાકો સુધી લાઈનમાં ઉભી છે અને સરકાર નિષ્ક્રિય છે” – અમિત ચાવડા.
સરકારનો વળતો જવાબ: “ઈંધણનો જથ્થો પૂરતો છે, વિપક્ષ લોકોને ગેરમાર્ગે ન દોરે” – હર્ષ સંઘવી.
ગાંધીનગર: ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછતને લઈ ફેલાયેલી અફવાઓનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં જોરશોરથી ગાજ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે ઉગ્ર શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.
🧐અમિત ચાવડાએ સરકારને ભીંસમાં લીધી:
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, “રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા છે, જનતા પરેશાન છે પણ સરકાર ગંભીર નથી.” ચાવડાએ નિયમ 116 હેઠળ નોટિસ આપી હોવા છતાં સરકારે આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા કેમ ન કરી તેવા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર UCC જેવા મુદ્દાઓ લાવીને મૂળભૂત જરૂરિયાતો પરથી જનતાનું ધ્યાન ભટકાવી રહી છે.
👉હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ:
વિપક્ષના આરોપો સામે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, “રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.” સંઘવીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ ખોટી રીતે અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
🗣️ગૃહમાં ભારે હોબાળો:
બંને નેતાઓ વચ્ચેની દલીલો એટલી હદે વકરી હતી કે ગૃહમાં ભારે દેકારો મચી ગયો હતો. વિપક્ષી નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે ગૃહની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પડ્યો હતો. અંતે વિધાનસભા અધ્યક્ષે દરમિયાનગીરી કરી બંને પક્ષોને શાંત રહેવા અને ગૃહની ગરિમા જાળવવા અપીલ કરવી પડી હતી.
🫵ઈંધણની અછત જેવો ગંભીર મુદ્દો હવે રાજકીય અખાડો બની ગયો છે, ત્યારે જોવાનું એ રહે છે કે પંપો પર લાગેલી કતારો ક્યારે ઓછી થાય છે.