ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી આવક થવા પામી છે. જેને લઇને ગત મોડી સાંજે નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે, હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે જોતા આવનાર સમયમાં નર્મદા ડેમમાં નવા નીરની વધુ આવક થાય તો નવાઇ નહીં. આ સ્થિતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં નવા નીરની વ્યાપક આવક થવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, નર્મદા ડેમમાં 117257 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.03 મીટર પર સ્થિર છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગત મોડી સાંજે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને તેમાંથી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જ્યારે આર બી પી એચ માંથી 43614 અને સી એચ પી એચ માંથી 23370 ક્યુસેક પાણી કેનલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ, નર્મદા ડેમમાંથી કુલ 116976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ સ્થિતીને પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અગાઉ પણ ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવું પડ્યું હતું. અને લોકોને સાવધ કરવામાં આવ્યા હતા. તે સમયે ડભોઇના ચાંદોદ નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.