દહેગામના બહિયલમાં તંગદિલીનો માહોલ. મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી બાબતે બબાલ
- ગામમાં ચાલી રહેલા ગરબામાં થયો પથ્થરમારો.
- એક દુકાનમાં તોડફોડ કરીને ચાંપી દીધી આગ.
- સમગ્ર ગામમાં ખડકી દેવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
માં અંબાની નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદિલી સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ એટલી ઉગ્ર બની કે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણને કારણે ગામમાં ભય અને તણાવનો માહોલ ફેલાયો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર જય મહાદેવ અને આઇ લવ મહોંમદ જેવી પોસ્ટને લઇને વિવાદ થયો હતો. એક યુવાને આઇ લવ મોહંમદ પોસ્ટ સામે જય મહાદેવ પોસ્ટ કરી તેમાં વિવાદ થયો હતો.
ગરબા વખતે ગામમાં ચાલી રહેલા, દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. હિંસક ટોળાએ ગામમાં આતંક મચાવ્યો છે. આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો થયો છે .જેમાં તેમના બે વાહનોને નુકસાન થયું છે. નજીવી બાબતે શરૂ થયેલી બબાલ બાદ ટોળું હિંસક બન્યું હતું. આ ટોળાએ ગામમાં ચાલી રહેલા ગરબા પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેને કારણે ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. હિંસક બનેલા ટોળાએ ગામમાં તોડફોડ પણ કરી હતી. તેમણે આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, એક દુકાનમાં પણ તોડફોડ કરીને તેને આગ ચાંપી દીધી હોવાના અહેવાલ છે.
એમાં પોલીસ પર હુમલો, સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસનો કાફલો બહિયલ ગામ પહોંચ્યો હતો. જોકે, હિંસક ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના બે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં સમગ્ર ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
આવી ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.